ભાવનગર લોકસભા બેઠક પર ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત
Updated: May 6th, 2024
- કાલે લોકસભાની સામાન્ય ચૂંટણી, સવારે 7 થી સાંજના 6 કલાક દરમિયાન મતદાન
- અંતિમ દિવસોમાં રાજકીય પક્ષોએ પ્રચારમાં જોર લગાડયુ, આચારસંહિતાનો અમલ શરૂ થતા હવે જોરશોરથી પ્રચાર નહી થઈ શકે
ભાવનગર : ભાવનગર લોકસભા બેઠક માટે આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે તેથી રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા હતા પરંતુ આજે રવિવારે લોકસભાની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરવાનો અંતીમ દિવસ હતો તેથી રાજકીય પક્ષોએ કેટલાક દિવસથી પ્રચારમાં ખુબ જ જોર લગાવ્યુ હતું. આચારસંહિતાના પગલે હવે જોરશોરથી પ્રચાર થઈ શકશે નહી. રાજકીય પક્ષો હવે શાંતીથી પ્રચાર કરશે તેમ જાણવા મળેલ છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૭ મેને મંગળવારે યોજાનાર છે. મતદાનનો સમય સવારે ૭ થી સાંજના ૬ કલાકનો છે. ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે હાલ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા હતાં. આજે રવિવારે પ્રચાર માટેનો અંતિમ દિવસ હતો તેથી છેલ્લા કેટલાક દિવસથી રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કર્યો હતો, રોડ શો, જાહેરસભા સહિતના આયોજન રાજકીય પક્ષોએ કર્યા હતા પરંતુ આજે સાંજના સમયે આચારસંહિતાનો અમલ શરૂ થતા જ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતાં. ચૂંટણીના ૪૮ કલાક અગાઉ આચારસંહિતાના પગલે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી શકતા નથી. જાહેરસભા કરી શકતા નથી, માઈક પર પ્રચાર કરી શકતા નથી.
ભાવનગરમાં બહારથી પ્રચાર માટે આવેલા લોકોએ ૪૮ કલાકમાં સ્થળ છોડી દેવાનુ હોય છે. જિલ્લાના મતદારો કે ધારાસભ્ય, સાંસદ હોય તો તેઓ રહી શકે છે. આચારસંહિતાનો કડક અમલ કરાવવા ચૂંટણી પંચે પ્રયાસ હાથ ધર્યા છે અને નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય પક્ષો અને ઉમેદવારો હવે બંધ બારણે બેઠક કરશે અને ડોર ટુ ડોર પ્રચાર કરશે તેમ જાણવા મળેલ છે. લોકસભાની ચૂંટણી આડે હવે માત્ર એક જ દિવસ જ રહ્યો છે તેથી સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસ પણ ચેકીંગ હાથ ધરશે. બહારના પાર્સીંગવાળી ગાડીઓ તેમજ હોલ-વાડી વગેરેમાં તપાસ કરવામાં આવશે.
રાજકીય પક્ષો માટે આજનો દિવસ પણ ખુબ જ મહત્વનો
લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આજે પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો છે તેથી હવે ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી શકશે નહી પરંતુ આચારસંહિતાનો ભંગ ના થાય તે રીતે શાંતીથી પ્રચાર કાર્ય શરૂ રહેશે તેમ ચર્ચાય રહ્યુ છે. ચૂંટણીના એક દિવસ પૂર્વે રાજકીય પક્ષો અને ઉમેદવારો ઘણી ગોઠવણ કરતા હોય છે તેથી આવતીકાલ સોમવાર રાજકીય પક્ષો તેમજ ઉમેદવારો માટે મહત્વનો રહેશે તેમ જણાય રહ્યુ છે. કેટલાક જ્ઞાતીના આગેવાન, સામાજીક આગેવાન, રાજકીય આગેવાનોની બંધ બારણે બેઠક થશે અને ચૂંટણી જીતવા માટે મનામણા કરવામાં આવશે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.