VIDEO: પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદી પહેલીવાર અયોધ્યા પહોંચ્યા, રામલલાના કર્યા દર્શન, રોડ શૉ કર્યો
Updated: May 5th, 2024
PM Modi in Ayodhya : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે અયોધ્યા પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીનો બે કિલોમીટર લાંબો રોડ શો શરૂ થઈ ગયો છે. આ રોડ શો રામ જન્મભૂમિ સુગ્રીવ કિલ્લા રામ પથથી શરૂ થયો છે. વડાપ્રધાન મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પણ ઉપસ્થિત છે.
વડાપ્રધાન રામલલાના કર્યા દર્શન
આ પહેલા તેમણે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના દર્શન કરી આર્શિવાદ મેળવ્યા હતા. જાન્યુઆરીમાં રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામ લાલાની પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ વડાપ્રધાન આજે પહેલીવાર અયોધ્યાની મુલાકાતે છે. આ પહેલા આજે તેમણે ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘મોદી રહે કે ન રહે, દેશ હંમેશા રહેશે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી શું કરી રહી છે? તેઓ તેમના ભવિષ્ય અને તેમના બાળકોના ભવિષ્ય માટે ચૂંટણી લડી રહ્યા છે.’
ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહના સમર્થનમાં રોડ શો
વડાપ્રધાન મોદી ફૈઝાબાદ લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર લલ્લુ સિંહના સમર્થનમાં રોડ શો કર્યો હતો. અયોધ્યામાં પાંચમા તબક્કામાં 20 મેએ મતદાન થશે, જેમાં મોહનલાલગંજ, લખનૌ, રાયબરેલી, અમેઠી, જાલૌન, ઝાંસી, હમીરપુર, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, કૈસરગંજ અને ગોંડામાં પણ મતદાન થશે. બસપાએ ફૈઝાબાદ બેઠક પરથી બ્રાહ્મણ ચહેરાને ટિકિટ આપી છે. માયાવતીએ ભાજપના જિલ્લા અધ્યક્ષ રહેલા અને બહુજન સમાજવાદી પાર્ટીમાં સામેલ થયેલા સચ્ચિદાનંદ પાંડેને અયોધ્યાથી ટિકિટ આપી છે, જ્યારે ભાજપે અવધેશ પ્રસાદને અને સમાજવા પાર્ટી-કોંગ્રેસ ગઠબંધને અવધેશ પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.