કોંગ્રેસ નેતા રાધિકા ખેડાનું રાજીનામું, કહ્યું- અયોધ્યા દર્શન કરવા ગયા હોવાથી પક્ષમાં જ વિરોધ થતો હતો
Updated: May 5th, 2024
Radhika Khera Resigns of Congress : લોકસભા ચૂંટણીની મોસમ વચ્ચે છત્તીસગઢની જાણીતી નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. રાધિકા ખેડાએ કોંગ્રેસના નેશનલ મીડિયા કો-ઓર્ડિનેટર પદેથી રાજીનામું આપી દેતા લોકસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘જે પક્ષમાં મેં 22 વર્ષ આપ્યા, ત્યાં મારો તીવ્ર વિરોધ થઈ રહ્યો છે કારણ કે હું અયોધ્યા (Ayodhya) શ્રીરામલલાના દર્શન કરવા ગઈ હતી. દેશવાસીઓના ન્યાય માટે હું સતત લડતી રહીશ.’
રાધિકાએ રાજીનામામાં અયોધ્યા રામ મંદિરનો કર્યો ઉલ્લેખ
રાધિકાએ રાજીનામામાં લખ્યું છે કે, ‘તમામ હિન્દુઓ માટે ભગવાન શ્રી રામનું પવિત્ર જન્મસ્થળ ઘણું મહત્વનું છે. શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કર્યા બાદ પોતાનું જીવન સફળ માની રહ્યા છે, ત્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. મેં કોંગ્રેસ પાર્ટીમાં 22 વર્ષ જવાબદારી નિભાવી. મેં પાર્ટીના NSUIથી લઈને AICCના મીડિયા વિભાગમાં સંપૂર્ણ ઈમાનદારી સાથે કામ કર્યું. આજે મારે પાર્ટીમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે હું અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરવા ગઈ હતી. ત્યાં જતા હું પોતાને રોકી શકી નથી.’
કોણ છે રાધિકા ખેડા?
રાધિકા ખેડા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને છત્તીસગઢમાં પાર્ટી માટે મીડિયા વિભાગ સંભાળી રહી હતી. તેમણે કોંગ્રેસની ટિકિટ પર દિલ્હીની જનકપુરી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. હાલમાં તેમના રાજીનામા અંગે કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.