મનસે નેતા અવિનાશ જાધવે 5 કરોડની ખંડણી માગ્યાની ફરિયાદ
Updated: May 4th, 2024
ઝવેરી બજારમાં ઓફિસમાં ઘૂસી જઈ ધાકધમકી
પુત્રની મારપીટ કરી હોવાનો આક્ષેપઃ એલટી માર્ગ પોલીસે ફરિયાદ નોંધીઃ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
મુંબઇ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા અવિનાશ જાધવ અને અન્ય સામે ઝવેરી બજારના એક વેપારીને ધમકી આપી રૃ. પાંચ કરોડની ખંડણી માગવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે, એમ એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. ઝવેરી સાથે અન્ય એક આરોપીનો નાણાકીય વિવાદ ચાલી રહ્યો હતો.
મરીન ડ્રાઇવમાં રહેતા ૫૫ વર્ષીય ફરિયાદીની ઝવેરી બજારમાં આવેલી ઓફિસમાં આ ઘટના બની હતી. પોલીસ ઘટના સ્થળની આસપાસની સીસીટીવી ફૂટેજના આધારે કેસની વધુ તપાસ કરી રહી છે.
લોકમાન્ય તિલક (એલટી) માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 'સોનાના વેપારીની ફરિયાદના આધારે અવિનાશ જાધવ અને અન્ય આરોપી સામે ખંડણી અને અન્ય સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ફરિયાદીનો વૈભવ ઠક્કર સાથે વ્યવસાયિક સંબંધ હતા. તેમણે નાણાકીય વિવાદનો ઉકેલવા ઠક્કરને પોતાની ઓફિસમાં બોલાવ્યો હતો, પરંતુ વૈભવ ઝવેરીની ઓફિસમાં અવિનાશ જાધવ તેના ડ્રાઇવર અને અન્ય છ લોકો સાથે આવ્યો હતો, એમ ઓફિસરે જણાવ્યું હતું.
ઝવેરીએ દાવો કર્યો હતો કે જાધવ અને તેના સાથીદારોએ પોલીસકર્મી સામે તેના પુત્રની મારપીટ કરી હતી. તેમ જ જાધવે રૃ. પાંચ કરોડની ખંડણી આપવા ધમકી આપી હતી, એમ પોલીસે વધુમાં કહ્યું હતું.
મનસેના થાણે-પાલઘરના અધ્યક્ષ અવિનાશ જાધવે ટોલ મુદ્દે આક્રમક ભૂમિકા ભજવી હતી ત્યારે પોલીસે તેને પકડયો હતો.