એમએલસી કિરણ સરનાઇકના ભત્રીજા, ભત્રીજી સહિત 6નાં અકસ્માતમાં મોત
Updated: May 4th, 2024
અકોલામાં 2 કારના ટકરાતા ભીષણ અકસ્માત
સરનાઇક પરિવાર કાર્યક્રમમાં જઇ રહ્યો હતો ત્યારે દુર્ઘટના : બંને ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો
મુંબઇ : મહારાષ્ટ્રના અકોલામાં વિધાનસભ્ય કિરણ સરનાઇકના પરિવારની કાર અને સામેથી આવતી અન્ય કારની અથડામણથી થયેલા ગમખ્વાર અકસ્માતમાં તેમના ભત્રીજા, ભત્રીજી, ભત્રીજીની નવ મહિનાનીપુત્રી સહિત છ જણ મોતના મુખમાં ધકેલાય ગયા હતા જ્યારે ત્રણને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે મામલાની નોધ લઇ વધુ તપાસ આદરી છે.
એમએલસી કિરણ સરનાઇક અમરાવતી શિક્ષક મતદાર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે. પાતૂર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર કિશોર શેળકેએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે વાશિમથી સરનાઇક પરિવાર કારમાં અકોલા આવી રહ્યો હતો. પાતૂરમાં રેણુકામાતા ટેકરી પાસે બપોરે તેમની કારને સામેથી આવતી કારે અડપેટમાં લીધી હતી.
આ દુર્ઘટનામાં કિરણ સરનાઇકના ભાઇ અરુણ સરનાઇકના પુત્ર રઘુવીર (ઉ.વ.૨૮) પુત્રી શિવાની (ઉ.વ.૩૦), શિવાનીની નવ મહિનાની દીકરી ગંભીરપણે જખમી થતા મૃત્યુ થયું હતું. જ્યારે સામેની કારમાં સિદ્ધાર્થ ઇંગળે, કપિલ ઇંગળે, અમોલ ઠાકરે કાળનો કોળીયો બની ગયા હતા આ સિવાય ત્રણ જણ ઘાયલ થયા હતા.
મૃતક સિદ્ધાર્થ લશ્કરમાં કામ કરતો હોવાનું કહેવાય છે. તે નવી કારમાં મિત્ર અને અન્ય વ્યક્તિ સાથે સામેથી આવી રહ્યો હતો. આ બનાવની જાણ થતા સ્થાનિક લોકો, પોલીસ ઘટનાસ્થળે ધસી ગયા હતા તેઓ ઇજાગ્રસ્ત અને જખમીને હોસ્પિટલ લઇ ગયા હતા.
આ બનાવને લીધે વાહનવ્યવહારને અસર થઇ હતી. રસ્તા પર લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. પોલીસે બંને વાહનને રસ્તાની બાજુમાં ખસેડયા બાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.