દેશભરની આઈઆઈટીમાં 20 વર્ષમાં 115 વિદ્યાર્થીઓની આત્મહત્યા
Updated: May 4th, 2024
આરટીઆઈમાં આંકડાકીય માહિતી સામે આવી
આઈઆઈટી મદ્રાસમાં સર્વાધિક 26 વિદ્યાર્થીઓએ તો આઈઆઈટી મુંબઈમાં 10 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, તણાવ સૌથી મોટું કારણ
મુંબઈ : ગત ૨૦ વર્ષમાં દેશભરની આઈઆઈટીમાં કુલ ૧૧૫ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. ૨૦૦૫ થી ૨૦૨૪ દરમ્યાન આઈઆઈટી મદ્રાસમાં સર્વાધિક ૨૬ વિદ્યાર્થીઓના મૃત્યુની નોંધ થઈ છે. આઈઆઈટી મુંબઈના ૧૦ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. આઈઆઈટી કાનપૂરના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગ્લોબલ આઈઆઈટી ભૂતપૂર્વ વિદ્યાર્થી સપોર્ટ ગુ્રપના સંસ્થાપકે દાખલ કરેલ આરટીઆઈ દ્વારા આ માહિતી સામે આવી છે.
મુંબઈ આઈઆઈટીમાં કેમિકલ એન્જિનીયરીંગના પ્રથમ વર્ષમાં ભણતા દર્શન સોલંકીએ ૧૨ ફેબુ્રઆરી ૨૦૨૩ના રોજ આઈઆઈટી મુંબઈ કેમ્પસની હૉસ્ટેલમાં આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા બાદ વિદ્યાર્થી સંગઠન તેમજ તેના પરિવારજનો તરફથી આત્મહત્યા માટે જાતિભેદનો આરોપ મુકાયો હતો. દર્શનની આત્મહત્યા બાદ વિવિધ આઈઆઈટી વિદ્યાર્થી સંગઠનોએ કરેલાં સર્વેક્ષણમાં વિદ્યાર્થીઓના મૃત્યુ શૈક્ષણિક તાણતણાવને કારણે થયાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ઉપરોક્ત વ્યક્તિએ ગત ૨૦ વર્ષમાં દેશભરની આઈઆઈટીઅન્સના મૃત્યુની આંકડાકીય માહિતી માગી હતી.
પ્રાપ્ત માહિતીનુસાર, આઈઆઈટી કાનપુરમાં ૧૮, ખડગપુરમાં ૧૩ આત્મહત્યાની ઘટનાઓ બની છે. કુલ મૃત્યુમાંથી ૯૮ મોત આઈઆઈટી કેમ્પસમાં થયાં છે. તેમાં ૫૬ વિદ્યાર્થીઓએ ગળાફાંસો ખાઈને તો ૧૭ વિદ્યાર્થીઓએ કેમ્પસની બહાર પોતાનું જીવન સમાપ્ત કર્યું હોવાની માહિતી મળી છે.
હાલ ભણી રહેલાં વિદ્યાર્થીઓમાં પણ નોકરીની અસુરક્ષિતતા, કૌટુંબિક સમસ્યા અને છેતરપિંડી જેવા અનેક કારણો આત્મહત્યા તરફ પ્રેરતાં હોવાનું સામે આવ્યું છે. આઈઆઈટીમાં ભણી રહેલાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક અને સામાજિક તણાવ ઘટાડવા સરકારે ગંભીર ઉપાયયોજનાઓ કરવી એવું આવાહન પણ કરાયું છે.