ગુજરાતમાં વધુ એક કરુણાંતિકા, ગૂંગળામણથી ત્રણ શ્રમિકોના મોત, બેની હાલત ગંભીર
Updated: Apr 24th, 2024
Gujarat News: ગુજરાતમાં ગૂંગળામણના કારણે અગાઉ અનેક શ્રમિકોના મોત થયા છે ત્યારે આવી જ વધુ એક ઘટના પાલનપુર (Palanpur) ડીસા (Deesa) હાઈવે પર બની છે જેમાં ત્રણ શ્રમિકો (Workers)ના મોત થયા છે જ્યારે બે શ્રમિકોની હાલત ગભીર હોવાથી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બે શ્રમિકોની હાલત ગંભીર
બનાસકાંઠા (Banaskantha)ના પાલનપુર-ડીસા હાઈવે પર આવેલી પેપર મિલમાં કૂવામાં કામ કરી રહેલા એક શ્રમિકને અચાનક જ ગુંગળામણ (suffocation) થતાં ત્યાં હાજર અન્ય ચાર શ્રમિકો તેને બચાવવા કૂવામાં ઉતર્યા હતા, જો કે આ ચાર શ્રમિકોને પણ ભયાનક ગુંગળામણ થવા લાગતા સ્થળ પર હાજર લોકોએ પાંચેય શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્રણ શ્રમિકોએ સારવાર દરમિયાન જ જીવ ગુમાવય્યો હતો. જ્યારે બેની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી છે.
મહેશ્વરી પેપર મિલમાં બની દુર્ઘટના
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર-ડીસા હાઈવે પર આવેલી મહેશ્વરી પેપર મિલ (Maheshwari Paper Mill)માં આ દુર્ઘટના બની હતી. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હજુ સુધી મૃતક શ્રમિકોના નામની અને તે ક્યાના વતની હતા તેની માહિતી મળી નથી.