આ બિઝનેસમેને માર્કેટની અવિરત તેજીને હર્ષદ મહેતા અને કેતન પારેખના કૌભાંડ સાથે સરખાવી
Updated: May 4th, 2024
Image: IANS |
Harshad Mehta/Ketan Parekh-era scams back: આરપીજી ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ શેરબજારની અવિરત તેજીને હર્ષદ મહેતા-કેતન પારેખ દ્વારા કરવામાં આવેલા કૌંભાંડના સમયગાળા સાથે સરખાવી છે.
હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરી નિવેદન આપ્યું છે કે, સ્ટોક માર્કેટની તેજી સાથે ખાસ કરીને કોલકાતામાં હર્ષદ મહેતા-કેતન પારેખની તમામ ગેરરીતિનો સમય પાછો આવ્યો છે. પ્રમોટર્સ પ્રોફિટ એન્ટ્રી મારફત મબલક નફો કમાવી રહ્યા છે. જ્યારે ગુજરાતી અને મારવાડી બ્રોકર્સ સાથે સાઠગાંઠ કરી તેમના શેરોના ભાવ બિનવાસ્તવિક ઉંચાઈએ પહોંચાડી રહ્યા છે.
આરપીજી ગ્રુપના ચેરમેને આ ટ્વિટ કરતાં કોલકાતામાં મોટાપાયે ગેરરીતિ થઈ રહી હોવા પર ભાર મૂકતાં માર્કેટ રેગ્યુલેટર સેબી તથા નાણા મંત્રાલયને આ મામલે તપાસ હાથ ધરી પગલાં લેવા અપીલ કરી છે.
ગોએન્કાનું ટ્વિટ થોડી જ ક્ષણોમાં મેજર હીટ થઈ રહ્યું હતું. મોટાભાગના યુઝર્સે તેમના મંતવ્ય સાથે સહમતિ દર્શાવી હતી. એક યુઝરે રિટ્વિટ કર્યું હતું કે, અગ્રણી સ્ટીલ કંપનીઓના શેરના ભાવ છેલ્લા એક વર્ષમાં 30 ગણા વધી 1000થી વધ્યા છે. તેમજ ઘણા યુઝર્સે સંભવિત મંદીના કિસ્સામાં નાના રોકાણકારો મોટી મૂડી ગુમાવે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે.
કેતન પારેખ કૌંભાંડ
કેતન પારેખે મોન્ડસ ઓપરેન્ડી સાથે ઘણા શેરોમાં તેના વાસ્તવિક રિટર્ન કરતાં અનેકગણું રિટર્ન હાંસલ કરાવી ઘણા રોકાણકારો માટે ભગવાન સમાન બન્યા હતાં. જો કે, બે વર્ષમાં જ તેઓએ પોતે અઢળક નફો કમાઈ તે શેરો કડડભૂસ થતાં રોકાણકારો, બેન્કો અને સ્ટોકમાર્કેટને ભારે ખોટ થઈ હતી.
હર્ષદ મહેતા કૌંભાંડ
1990માં હર્ષદ મહેતાના કૌંભાંડથી તો સૌ કોઈ વાકેફ છે. જેના પર તાજેતરમાં જ સિરિઝ અને ફિલ્મ પણ બની ચૂકી છે. તેણે બેન્કિંગ સિસ્ટમની નબળાઈઓનો દુરપયોગ કરી સ્ટોક માર્કેટમાં ગેરરીતિઓ આચરી હતી.