દિલ્હીના LGની કેજરીવાલ વિરુદ્ધ NIA તપાસની ભલામણ, આતંકી સંગઠન પાસેથી ફંડ લેવાનો આરોપ
Updated: May 6th, 2024
Arvind Kejriwal In Trouble: દિલ્હી લિકર પોલિસી મામલે ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે NIA તપાસની ભલામણ કરી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ગૃહ મંત્રાલયને આ અંગે પત્ર લખ્યો છે.
જેમાં દિલ્હીના LGએ આરોપ લગાવ્યો છે કે, ખાલિસ્તાન સમર્થક અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'શીખ ફોર જસ્ટિસ' પાસેથી ભંડોળ મેળવ્યું હતું. લેફ્ટનન્ટ ગવર્નરને ફરિયાદ મળી હતી કે ખાલિસ્તાન સમર્થિત ભાવનાઓને પ્રોત્સાહન આપવાના બદલામાં કટ્ટરપંથીઓ પાસેથી 16 મિલિયન ડોલરનું કથિત ફંડ આમ આદમી પાર્ટીને પ્રાપ્ત થયું હતું.
કેજરીવાલ વિરૂદ્ધ કોણે કરી ફરિયાદ?
દિલ્હી LGને આપ વિરૂદ્ધ દેવેન્દ્ર પાલ ભુલ્લરની મુક્તિની સુવિધા આપવા અને ખાલિસ્તાન સમર્થક ભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે ખાલિસ્તાન સંગઠન શીખ ફૉર જસ્ટિસે 16 મિલિયન અમેરિકન ડૉલર મળવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ વર્લ્ડ હિન્દુ ફેડરેશન ઈન્ડિયાના રાષ્ટ્રીય મહાસચિવ આશૂ મોંગિયા અને આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકર્તા મુનીષ કુમાર રાયજાદાએ કરી હતી.