નવા નિયમો અમલી બને તે પહેલા રોકાણકારો કરન્સી ડેરિવેટિવ્ઝથી દૂર
- એપ્રિલમાં NSE પર કરન્સી F&Oનું દૈનિક ટર્નઓવર રૂ. ૨૦,૬૪૬ કરોડ હતું, જે માર્ચના રૂ. ૧.૫૬ લાખ કરોડ કરતાં ૮૭ ટકા ઓછું
Updated: May 4th, 2024
અમદાવાદ : રિટેલ રોકાણકારો માટેના એક્સપોઝર ફરજિયાત કરવાના નિયમોના અમલીકરણ પહેલાં એપ્રિલ માસમાં એક્સ્ચેન્જ-ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ૮૦ ટકાથી વધુનો તીવ્ર ઘટાડો નોધાયો હતો.
એપ્રિલમાં એનએસઈ પર કરન્સી ફ્યુચર્સ અને ઓપ્શન્સનું સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ. ૨૦,૬૪૬ કરોડ હતું, જે માર્ચમાં રૂ. ૧.૫૬ લાખ કરોડ એટલે કે એપ્રિલ કરતા ૮૭ ટકા ઓછું છે. બીજીતરફ બીએસઈ ખાતે સરેરાશ દૈનિક ટર્નઓવર ૭૫ ટકા ઘટીને રૂ. ૧,૪૮૧ કરોડ જ્યારે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા ખાતે ૮૧ ટકા ઘટીને રૂ. ૩૫૪ કરોડ રહ્યું હતું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક્સચેન્જ-ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ માટે નવા નિયમોનો અમલ ૩ મે સુધી મુલતવી રાખ્યો હતો. અગાઉ ૫ એપ્રિલથી આ ધોરણોને લાગુ કરવાની યોજના હતી. નવા નિયમો હેઠળ, એનએસઈ અને બીએસઈ પર રૂપિયો-પ્રમાણિત ચલણના સોદા માટે હવે ગર્ભિત એક્સપોઝર ફરજિયાત છે. જો કે ૧૦૦ મિલિયન ડોલર સુધીની સ્થિતિ માટે એક્સપોઝરનો પુરાવો પ્રદાન કરવાની જરૂર નથી.
બજારના જાણકારોએ જણાવ્યું હતું કે ૪ એપ્રિલથી બિઝનેસમાં લગભગ ૭૦-૮૦ ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ૩ મે પછી કોઈ મોટી અસર નહીં થાય કારણ કે તમામ પોઝિશન્સ સેટલ થઈ ગઈ છે.