વ્યારામાં લોકોર્પણના બે જ દિવસમાં અટલ વિહાર ઉદ્યાનનો ગેટ તૂટી પડયો
Updated: Jul 8th, 2021
વિકાસના કામોમાં ગેરરીતિ થતી હોવાનાં આરોપ સાથે વિપક્ષ કોંગ્રેસ ચીફ ઓફિસરને આવેદન આપ્યું
વ્યારા
વ્યારા નગરપાલિકા દ્વારા હાલમાં વિકાસના અનેક કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં સીંગી વિસ્તારમાં અટલ વિહાર ઉદ્યાનના લોકાર્પણ ના બે જ દિવસમાં બાગનો ગેટ પડી જતા વિપક્ષે વિકાસના કામોમાં હલકું મટીરીયલ વાપરી ગેરરીતિ થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે. જે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વ્યારા નગરમાં નગરપાલિકા દ્વારા હાલમાં જ વિકાસના અનેક કામોનું લોકાર્પણ કર્યું હતું. તથા અન્ય કામો પણ ચાલી રહ્યાં છે.દરમિયાન સોમવારે વોર્ડ નં ૧ ના સીંગી ફળીયા વિસ્તારમાં સાંસદ પ્રભુ વસાવા ના હસ્તે ૪૭.૨૮ લાખના ખર્ચે અટલ વિહાર ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બે જ દિવસમાં પ્રવેશદ્વાર પરની દીવાલ સાથેનો ગેટ પડી ગયો હતો. જેને લઇ તકલાદી કામ કરાવ્યું હોવાની શંકા ઉપજી હતી. અને નગરપાલિકાના વિપક્ષ કોંગેસના સભ્ય દિલીપ જાદવે સ્થળ પર જઈ નિરીક્ષણ કરી વિકાસના કામની પોલ ખોલી હતી.ગુરુવારે નગરપાલિકામાં દિલીપ જાદવ સહીત વિપક્ષના સભ્યોએ ચીફ ઓફિસર ને સંબોધીને ઓફિસ સુપ્રિટેન્ડન્ટ મનીષ પંચોલી ને આવેદનપત્ર આપ્યું હતું. અને નગરમાં ચાલતા વિકાસના કામોમાં હલકું મટીરીયલ વાપરી ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. કામો પણ ઉતાવળમાં કરવામાં આવે છે.માતબર રકમ ખર્ચ્યા બાદ પણ, હલકી ક્વોલિટીનું કામ ચલાવી લેવામાં આવે છે.અને પૈસાનો વ્યય થઈ રહ્યો છે.જેથી આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.કામોમાં ગેરરીતિને પગલે નગર પાલિકામાં સત્તામાં બેસાડેલ નવયુવાનો પણ ભ્રષ્ટાચારની અવળી દિશામાં જઈ રહ્યા ની લોક મુખે ચર્ચા ઉઠી છે.