For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભ્ર્રામક તેજીની ભરમાર

Updated: Nov 25th, 2021

Article Content Image

હમણાં શ્રીમતી નિર્મલા સીતારામને કહ્યું કે છેલ્લા બે-ત્રણ વરસના વિકટ સંયોગો પછી પણ વિદેશી રોકાણકારોએ ભારતમાં વીસ હજાર કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. નાણાંપ્રધાનની આ વાત ખરેખર સાચી છે. પરંતુ આજકાલ ભાજપના તમામ નેતાઓ દરેક સભામાં દેશમાં તેજીની જે હવા ફેલાવી રહ્યા છે એ ગપ્પાબાજી જ છે. ભાજપના નેતાઓ અને સત્ય વચ્ચેનું અંતર જગખ્યાત છે, એ માપવાની જરૂર નથી. ગુજરાતમાં ગ્ર્રામ પંચાયતોની ચૂંટણીના ઢોલ વાગે છે ત્યારે ભાજપ સામેનો સૌથી મોટો પડકાર એ છે કે એમના નેતાઓના વચનો પર લોકો ફરીથી વિશ્વાસ મૂકતા થાય. એ કામ અઘરું છે અને આમ આદમી પાર્ટીની સક્રિયતા પછી વધુ અઘરું સાબિત થવાનું છે. પ્રવર્તમાન ભારતમાં મંદીનો માહોલ ચાલે છે કે ઉદ્યોગ-ધંધા ઠંડા પડી ગયા છે એ મતલબનું એક પણ વિધાન ભાજપનો એક પણ નેતા ઉચ્ચારી શકતો નથી.

પક્ષે એમના પર એવી કોઈ વાત બોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાલ મેઘરાજાની કૃપાદ્રષ્ટિ વિશેષ છે અને ગત ચોમાસા વરસાદની સાથે સાથે જ બિલાડીના ટોપની જેમ ઘરગથ્થુ અર્થશાસ્ત્રીઓ ફૂટી નીકળ્યા હતા. આ નવાનક્કોર અર્થશાસ્ત્રીઓ વોટ્સએપના ઓટલે રાતભર જાગીને આડું-અવળું કંઈક ભણ્યા પણ છે. તેઓ ભારતના અર્થતંત્રનું મનોરમ્ય વર્ણન કરવામાં પાવરધા છે. દેશના ટોચના નેતાઓ પૈકીના એક રવિશંકર પ્રસાદે એક વખત તો એમ કહ્યું હતું કે ત્રણ ફિલ્મોએ એકસો વીસ કરોડનો નફો કર્યો છે માટે ભારતમાં મંદી છે એવું ન કહી શકાય. દર વર્ષે અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ અપાય છે. જો તેની વિરુદ્ધમાં અર્થશાસ્ત્રને વિકૃત કરવા માટે કોઈ એન્ટી-નોબેલ રેન્કિંગ આપવાનું થાય તો વર્તમાન ભારતમાં તેના ઘણા પ્રબળ દાવેદારો મળી શકે. 

એક સમય હતો જ્યારે યુવાનો એવી ગેરસમજમાં રહેતા કે શેરબજાર એ અર્થતંત્રનું બેરોમીટર છે. પણ આજે એવો સમય આવ્યો છે કે ભાજપના પ્રવક્તાઓ પોતાના ગપ્પાને જ અર્થતંત્રની ફાઇનલ વ્યાખ્યા માને છે. મોલમાં ઉભરાતી ભીડ ઉપરથી મંદી નથી એવું નક્કી થાય છે. દિવાળી કે સાતમ-આઠમ ઉપર રસ્તાઓ ઉપરની ધસારો જોઈને ભારતીય અર્થતંત્ર ઉત્તુંગ શિખરો સર કરી રહ્યું છે એવા મેસેજ ફેલાવવામાં આવે છે. બાંધકામમાં મોટા પ્રોજેક્ટ આઈસીયુમાં છે અને બીજા ઘણા ધંધાઓ ધીમા પડી રહ્યા છે એ હકીકત આંખ સામે હોવા છતાં મોદી સરકારે આંખ આડે અદ્રશ્ય પાટા બાંધી દીધા છે. નિર્મલા સીતારામન કઈ યોગ્યતા ઉપર રક્ષામંત્રી હતા એ કોયડો ભારતીયો ઉકેલી શકે તેની પહેલા જ તેમને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા જેઓ પ્રમાણમાં હવે સારા માઇલેજ મેળવતા થયા છે.

ભારતીયો અત્યારે બેવડો માર સહન કરી રહ્યા છે. એક તરફથી મંદીનો માર અને બીજી તરફ મોંઘવારીનો માર. મોદી સરકાર ભારતીયોના જમણનું મેન્યુ સતત બદલતું રહે એ તકેદારી રાખે છે. દર પખવાડિયે એક શાક કે ભાજીના ભાવ આસમાને પહોંચે છે અને કરોડો ઘરોના રસોડામાં એ શાક કે ભાજીના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાઈ જાય છે. ઘણી ઓફિસોમાં કર્મચારીઓની છટણી થઈ રહી છે. ખેડૂતોને એના પાકના ટેકાના ભાવ મળે છે કે નહીં તે નક્કી નથી. કારખાનામાં કામ કરતા મજૂરો કે માણસોને છુટા કરવામાં આવે છે. છતાં પણ ભક્તો પુષ્યનક્ષત્ર ઉપર વેચાયેલા સોનાના જથ્થાના આંકડાઓ કહીને મંદીનો શિરચ્છેદ ઉડાડવા તૈયાર છે.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે હમણાં જે વિધાનો કર્યા એનો અર્થ છે કે આપણું અર્થતંત્ર ખાડે ગયેલું હતું અને એમાં મંદી આવી એટલે સૌથી ગંભીર અસર ભારતને થવાની છે. એ તો જાણીતી વાત છે કે અઢાર મહિનાથી મંદીના પ્રવાહો ચાલુ છે અને એ ક્યાં જઈને યુ ટર્ન થશે એ કોઈ જાણતું નથી. છેક રઘુરામ રાજનના જમાનાથી રિઝર્વ બેન્ક પર કબજો જમાવવાની મિસ્ટર મોદીની નેમ હતી જે હવે પાર પડી છે. રિઝર્વ બેન્કમાં હવે રિઝર્વ શું છે એ અભ્યાસનો વિષય છે અને એ પણ નક્કી જ છે કે મિસ્ટર મોદી આણિ મંડળી એમાં એક પાઈ પણ રહેવા દેશે નહિ. એનડીએ સરકારે રિઝર્વ બેન્કની તિજોરીમાં હાથ અડાડયો પછી અનેક કરન્સી એક્ષચેન્જ સેન્ટરોએ આઈએનઆર એટલે કે ભારતીય ચલણ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. આ તો હજુ પ્રારંભિક હોંગકોંગ અને સિંગાપોર એક્ષચેન્જના અહેવાલો છે પરંતુ સરકારની આવી જ અણઘડ નીતિ ચાલુ રહેશે તો ભારતીય રૂપિયાનું ઘટેલું મૂલ્ય હજુ વધુ ઝડપે પતન પામશે.

જે રીતે નોટબંધીની નિષ્ફળતા અને પ્રજાપીડનને ભાજપે સ્વીકારવાની ના પાડી, જે રીતે દેશના બેરોજગારો અંગેના આંકડાઓ તથા વર્ગીકૃત માહિતી છુપાવવા માટે ભાજપના નેતાઓએ ભારત સરકારના અદભુત અને પ્રતિતિ આંકડાશાસ્ત્રીય વિભાગોને પાણીપુરીની લારી જેવા બનાવી દીધા એ જ રીતે અત્યારે દેશના નાણાં પ્રધાન ખુદ મંદી વિશે હાસ્યાસ્પદ વાતો કરે છે અને જ્યાં મોકો મળે ત્યાં તેજીની ગુલબાંગ ચલાવે છે.

Gujarat