ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિ બાદ રોહિત શર્માનું એકમાત્ર સપનું.... શું તે પૂરું કરી શકશે?
Rohit Sharma Retirement Plan: 'હિટમેન' તરીકે લોકપ્રિય રોહિત શર્મા હવે ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા મળશે નહીં. 38 વર્ષીય રોહિતે 7મેના રોજ ક્રિકેટના લોંગેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે રોહિત ફક્ત વનડે iન્ટરનેશનલ મેચમાં જ રમતો જોવા મળશે.
રિટાયરમેન્ટ બાદ શું કરશે શર્મા
ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ રોહિત શર્માનું સંપૂર્ણ ધ્યાન વનડે ક્રિકેટ પર કેન્દ્રિત થશે. રોહિત શર્મા વનડે ફોર્મેટમાં હજી પણ ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન છે. શર્માની કૅપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા હાલમાં જ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી હતી. હવે તેનું સૌથી મોટું સપનું વનડે વર્લ્ડ કપ જીતવાનું છે.
વનડે વર્લ્ડ કપ જીતવાનું સપનું
વનડેમાં ત્રણ બેવડી સદી ફટકારનાર રોહિત શર્માએ ઘણી વાર ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે 50 ઓવરનો વનડે વર્લ્ડ કપ જીતવા માંગે છે. રોહિત માને છે કે 50 ઓવરનો વર્લ્ડ કપ તેના માટે વાસ્તવિક વર્લ્ડ કપ છે અને તે ODI વર્લ્ડ કપ જોઈને મોટો થયો છે. જ્યારે ભારતીય ટીમે 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો ત્યારે રોહિત તે ટીમનો ભાગ નહોતો. રોહિતને હજુ પણ 2011ના ODI વર્લ્ડ કપ ટીમમાં ન હોવાનો અફસોસ છે.
ટીમમાં ન હોવાનો વસવસો
રોહિત શર્માએ ભૂતકાળમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'સાચું કહું તો, મેં સેમિફાઇનલ અને ફાઇનલ સિવાય ODI વર્લ્ડ કપ 2011ની બાકીની મેચો જોઈ નથી. જ્યારે પણ હું આ ટુર્નામેન્ટ જોવુ છું, ત્યારે હું ખૂબ જ હતાશ થઈ જાઉં છું. જ્યારે પણ હું ટીવી ચાલુ કરતો ત્યારે મને એવું લાગતું કે હું ત્યાં હોત.’
બે વાર વનડે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં
રોહિત શર્મા ODI વર્લ્ડ કપ 2011માં ભલે ભારતીય ટીમનો હિસ્સો ન હતો. પરંતુ ત્યારબાદ સતત ત્રણ વખત વનડે વર્લ્ડકપ રમ્યા છે. જેમાં તેની કૅપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા 2015 અને 2019માં વનડે વર્લ્ડ કપના સેમિફાઇનલ સુધી પહોંચી હતી. પરંતુ 2023માં ODI વર્લ્ડકપમાં ભારતીય ટીમ રોહિત શર્માની કૅપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ સુધી પહોંચી હતી. જેમાં તેનો પરાજય થયો હતો.
2027માં રમશે વનડે વર્લ્ડ કપ?
વનડે વર્લ્ડકપ 2027 દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, અને નામિબિયાની સંયુક્ત મેજબાની હેઠળ ઑક્ટોબર-નવેમ્બર, 2027માં રમાશે. ત્યારે રોહિત 40 વર્ષનો થશે. એવામાં જોવાનું રહેશે કે, તે સમયે રોહિતની ફિટનેસ અને ફૉર્મ કેવું છે. જો કે, રોહિતે ટેસ્ટ અને ટી20માંથી સંન્યાસ લઈ લીધો હોવાથી હવે તે વનડે ફોર્મેટ પર વધુ સારી રીતે ફોકસ કરી પોતાને 2027 વર્લ્ડ કપ માટે તૈયાર કરી શકશે.
આ પણ વાંચોઃ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ કરી આપી માહિતી
રોહિત શર્માની વનડે આંતરરાષ્ટ્રીય કારકિર્દી
• 273 મેચ, 1168 રન, 48.76 એવરેજ
• 32 સદી, 58 અર્ધ સદી, 92.80 સ્ટ્રાઇક રેટ
• 1045 ચોગ્ગા, 344 છગ્ગા
રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી
• 67 મેચ, 4301 રન, 40.57 એવરેજ
• 12 સદી, 18 અર્ધ સદી, 57.05 સ્ટ્રાઇક રેટ
• 473 ચોગ્ગા, 88 છગ્ગા
રોહિત શર્માની ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી
• 159 મેચ, 4231 રન, 32.05 એવરેજ
• 5 સદી, 32 અર્ધ સદી, 140.89 સ્ટ્રાઇક રેટ
• 383 ચોગ્ગા, 205 છગ્ગા