મેજર ટુર્નામેન્ટ માટે ક્રિકેટરોને તરોતાજા રાખવા વર્કલોડ મેનેજમેન્ટ જરુરી : દ્રવિડ
- વિલિયમસનની ગેરહાજરીમાં પણ ન્યુઝીલેન્ડ ડેન્જરસ : રોહિત
- રોહિતે ટી-૨૦ના કેપ્ટન તરીકે વિદાય લેનારા કોહલીને ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી ગણાવ્યો
Updated: Nov 16th, 2021
જયપુર,
તા.૧૬
ટીમ ઈન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડે વર્કલોડ મેનેજમેન્ટ પર
ભાર મૂક્યો હતો. દ્રવિડે કહ્યું કે,
ક્રિકેટની વ્યસ્તતા હકિકત છે અને આ પરિસ્થિતિમાં મેજર ટુર્નામેન્ટ માટે ક્રિકેેટરોને
તરોતાજા રાખવા માટે વર્કલોડ મેનેજમેન્ટ જરુરી છે. પ્લેયર્સ કંઈ મશીન નથી એટલે
તેમને પુરતો આરામ આપવો પણ જરુરી છે. આ મામલે કોહલી અને રોહિતની સાથે વાતચીત થઈ છે.
દ્રવિડે ઊમેર્યું કે, અમે કોઈ
ફોર્મેટને પ્રાથમિકતા આપવા ઈચ્છતા નથી,
દરેક ફોર્મેટ અમારા માટે મહત્વનું છે. અમે દિન-પ્રતિદિન સુધારો કરીને આગળ વધવા
ઈચ્છી રહ્યા છે.
ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી અગાઉ નવા ટી-૨૦ કેપ્ટન રોહિત
શર્મા અને કોચ રાહુલ દ્રવિડે તેમના કાર્યકાળના પ્રારંભે મીડિયા સાથે વાતચીત કરતાં વિવિધ મુદ્દે તેમના
મંતવ્ય સ્પષ્ટ કર્યા હતા. રોહિત શર્માએ કહ્યું કે, ભારતીય ટીમની બેટીંગ લાઈનઅપમાં કોહલીનું સ્થાન અત્યંત
મહત્વનું છે. ટીમ માટે તે ઘણો જ મોટો પ્લેયર છે. ટી-૨૦માંથી કેપ્ટન તરીકે
રાજીનામું આપનારા કોહલીની ભૂમિકા ટીમમાં એ જ રહેશે. તે પુનરાગમન કરશે, ત્યારે ટીમને
ફાયદો થશે.
રોહિતે ઊમેર્યું કે,
વિલિયમસનની ગેરહાજરીમાં પણ ન્યુઝીલેન્ડની ટીમ ડેન્જરસ છે. તેમની ટીમમાં અન્ય
પણ મેચ વિનર્સ છે. જેના કારણે અમે તે તમામને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યા
છીએ. ભારતીય કોચ રાહુલ દ્રવિડે પણ કહ્યું કે,
દરેક વખતે ન્યુઝીલેન્ડને અંડરડોગ તરીકે ઓળખાવું યોગ્ય ન કહેવાય. તેમણે ઘણી
મહત્વની મેચોમાં આપણને હરાવ્યા છે. અમે દરેક મેચને મહત્વની માનીને આગળ વધી રહ્યા
છે. ભુલોને સુધારવાની સાથે એક-એક ડગલું આગળ વધવાના ઈરાદા સાથે તૈયારી કરી રહ્યા
છીએ.