વિન્ડિઝ-શ્રીલંકાથી IPLના ખેલાડીઓને લાવવા ખાસ ચાર્ટર્ડ પ્લેન મોકલાશે
- કેરેબિયન લીગમાં કેટલાક સ્ટાર્સ રમી રહ્યા છે
- બાયોબબલમાંથી આવતા ખેલાડીઓને માત્ર બે જ દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે
Updated: Sep 14th, 2021
નવી દિલ્હી,
તા.૧૪
વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલી કેરેબિયન પ્રીમિયર લીગમાં તેમજ
શ્રીલંકામાં ચાલી રહેલી સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં રમી રહેલા આઇપીએલના
ક્રિકેટરોને યુએઈ લઈ જવા માટે બે ચાર્ટર્ડ પ્લેન મોકલવામાં આવશે. તમામ
ફ્રેન્ચાઈઝીઓએ ભેગા મળીને તેમના સ્ટાર્સને યુએઈ લાવવા માટે આ આયોજન કર્યું છે.
એક વિમાન વિન્ડિઝ જશે અને ત્યાંની લીગમા રમી રહેલા આઇપીએલના
ખેલાડીઓને યુએઈ લાવશે. જેમાં ચેન્નાઈના ડુ પ્લેસીસ, ડ્વેન બ્રાવો,
ઈમરાન તાહીરનો તેમજ મુંબઈના પોલાર્ડનો પણ સમાવેશ થાય છે. જ્યારે શ્રીલંકામાં
શ્રેણી રમી રહેલા ખેલાડીઓ માટેની ચાર્ટર્ડ ફ્લાઈટમાં એનગીડી (ચેન્નાઈ) અને ડી કૉક
(મુંબઈ ઈન્ડિયન્સ)નો પણ સમાવેશ થાય છે.
આ બંને દેશોમાંથી આવનારા ખેલાડીઓ બાયો-બબલમાંથી જ યુએઈ
પહોંચી રહ્યા છે. જેના કારણે તેમને માત્ર બે જ દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે. જે
પછી તેમનો એક કે વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને તે નેગેટિવ આવતા તેઓ બાયો
બબલમાં ટીમની સાથે જોડાઈ શકશે.
યુકેમાં કોરોનાના કેસ વધુ છે, જેના કારણે યુએઈની સરકારે યુકેથી આવનારા ખેલાડીઓ અને અન્ય
વ્યક્તિઓ માટે છ દિવસના આઇસોલેશનનો નિયમ અમલમાં મૂક્યો છે. આઇપીએલની ૧૪મી સિઝનનો
બીજો તબક્કો યુએઈમાં યોજાવા જઈ રહ્યો છે. અગાઉ ભારતની ભૂમિ પર ચાલી રહેલી આઇપીએલને
કોરોનાના કેસ વધતાં મે મહિનામાં સ્થગિત કરવામાં આવી હતી.