ટીમમાં યોગદાન આપવા માટે દરેક વખતે સદી ફટકારવી જરુરી નથી : રહાણે
- ભારતીય કેપ્ટન રહાણેએ તેના ફોર્મ અંગેની ચિંતા નકારી
- રહાણેએ છેલ્લી ૧૧ ટેસ્ટમાં ૧૯ની સરેરાશથી રન નોંધાવ્યા છે
Updated: Nov 24th, 2021
કાનપુર, તા.૨૪
કોહલી
અને રોહિતની ગેરહાજરીમાં ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન્સી
કરી રહેલા રહાણેનું ખુદનું ફોર્મ ચિંતાજનક છે. જોકે તેણે કહ્યું છે કે, હું મારા ફોર્મથી
ચિંતિત નથી. દરેક મેચમાં સદી ફટકારીએ એટલે જ ટીમ માટે યોગદાન આપ્યું કહેવાય તેવું
જરુરી નથી. ચાલુ વર્ષે રમાયેલી ૧૧ ટેસ્ટ મેચમાં રહાણેની સરેરાસ ૧૯ની રહી છે.
ન્યુઝીલેન્ડ
સામેની પ્રથમ ટેસ્ટ અગાઉ રહાણેએ કહ્યું કે,
હું મારા ફોર્મથી ચિંતિત નથી. મારું કામ ટીમની સફળતા માટે બને
તેટલું યોગદાન આપવાનું છે. ટીમમાં યોગદાન આપવા માટે દરેક વખતે સદી ફટકારવી જરુરી
નથી. પ્રત્યેક ઈનિંગમાં ૩૦, ૪૦ કે ૫૦ રન નોંધાવવા એ પણ ટીમ
માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. રહાણેએ ઊમેર્યું કે, ભવિષ્યમાં
શું થશે તે અંગે હું ચિંતા કરતો નથી. ભવિષ્યમાં જે થવાનું છે તે થઈને જ રહેશે.
રહાણેએ ઊમેર્યું કે, કોચ રાહુલ દ્રવિડે અમને કોઈ વિશિષ્ટ ટીપ્સ આપી નથી. તેમણે મને અને પુજારાને કહ્યું કે, તમે તમારો ગેમપ્લાન જાણો છો. વળી તમે આટલા વર્ષોથી રમો છો, જેના કારણે તેમને તમારી ભૂમિકાની સમજ છે. તમારે બહુ ચિંતા કરવાની જરુર નથી.
રહાણેએ તેની આ જ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, શ્રેયસ ઐયર ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીથી ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કરશે. રહાણેની આ જાહેરાત સાથે સુર્યકુમાર બહાર રહેશે તે લગભગ નક્કી થઈ ગયું હતુ.