રહાણે અને પૂજારાનુ ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય, પૂજારાએ છેલ્લી સદી 39 ઈનિંગ પહેલા ફટકારી હતી
Updated: Nov 26th, 2021
નવી દિલ્હી, તા. 26. નવેમ્બર 2021 શુક્રવાર
ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ પહેલી ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં 345 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.
ભારત માટે મિડલ ઓર્ડરમાં રહાણે અને પૂજારાનુ ફોર્મ ચિંતાનો વિષય બન્યુ છે.ન્યૂઝીલેન્ડ સામે પણ પહેલી ઈનિંગમાં આ બંને સિનિયર બેટસમેન ખાસ કમાલ બતાવી શક્યા નથી.
એક સમયે ભારતીય ટીમ માટે ધરખમ ગણાતા આ બે બેટસમેનનુ ફોર્મ બે વર્ષથી કથળી ગયુ છે.જેમ કે ન્યૂઝીલેન્ડ સામે પહેલી ઈનિંગમાં 35 રન કરીને આઉટ થનારા રહાણેએ છેલ્લી 20 ઈનિંગમાં માત્ર 407 રન બનાવ્યા છે.જેમાં એક પણ સદી નથી.આ દરમિયાન તેનુ એવરેજ માંડ 20 નુ રહ્યુ છે.
પૂજારા પણ પહેલી ઈનિંગમાં 26 રન કરીને આઉટ થયો હતો.પૂજારાએ પણ 2019થી સદી ફટકારી નથી.39 ઈનિંગ રમ્યા પછી પણ પૂજારાની સદીનુ દુકાળ ખતમ થયો નથી.આ દરમિયાન પૂજારાનુ એવરેજ પણ 28.78નુ રહ્યુ છે.
જોકે આ બંને બેટસમેનો પાસે કાનપુર ટેસ્ટમાં હજી એક ઈનિંગ બાકી છે.ઉપરાંત 3 ડિસેમ્બરથી મુંબઈમાં બીજી ટેસ્ટ રમાવાની છે.આ સિરિઝનુ ફોર્મ બંને બેટસમેનો નુ આગામી સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં સ્થાન નક્કી કરશે.
ભારતે સાઉથ આફ્રિકાના પ્રવાસે ત્રણ ટેસ્ટ રમવાની છે.પહેલી ટેસ્ટ 17 ડિસેમ્બરથી જોહાનિસબર્ગમાં રમાશે.