Get The App

ભૂતકાળની પથારી પર સપનામાં સ્વર્ગ જોતું ઊંઘતું ભારત !

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
ભૂતકાળની પથારી પર સપનામાં સ્વર્ગ જોતું ઊંઘતું ભારત ! 1 - image

- અનાવૃત-જય વસાવડા

- જીવ બચાવવાની કે ગુમાવવાની, બેઉ કિંમત આઈપીએલના ખેલાડીની બે મહિનાની કમાણીના વીસમા ભાગની પણ ન હોય ત્યાં ભારતને સ્વર્ગ કેમ કહી દેવું?

અ કબરના દરબારના નવરત્નોમાંના એક એવા અબુલ ફઝલની હત્યા એ પોતાની સત્તામાં આડે આવે છે, એ ખીજમાં જહાંગીરે એની હત્યા ઓરછા વિસ્તારના વીરસિંહ બુંદેલા મારફતે કરાવી નાખેલી. (એટલે ઓરછામાં જહાંગીર પેલેસ પણ છે, રાજા રામ મંદિર સાથે.) તો આ અબુલ ફઝલે મુસલમાનો માટે એક નિરીક્ષણ લખેલું કે - ''મુસલમાન પોતાની પરંપરાને એટલું બધું મહત્વ આપે છે, કે એ અન્ય સંસ્કૃતિઓ પાસેથી કશું નવું શીખતો નથી !'' એમના જ શબ્દોમાં 'તકલીદ' (અનુસરણ જૂની ટ્રેડિશન્સનું)ને લીધે 'ચિરાગ-એ-ખિરદ' યાને દિમાગ કી બત્તી, બુદ્ધિનો બલ્બ રોશન થતો નથી. હવે આ ઓબ્ઝર્વેશન એમણે ક્યા મુસ્લિમોને ધ્યાનમાં રાખીને લખ્યું, એ રામ જાણે. પણ આટલું વાંચીને મનમાં સનાતનના કેરીથી પણ ગાઢ કેસરિયા લહેરાવા લાગ્યા હોય, તો સખેદ જણાવવાનું કે આ વાત મૂળ તો દુર્ભાગ્યે આપણા આખા દેશ, સમગ્ર હિન્દુસ્તાનને લાગુ પડે છે ! આ દેશે કદી બીજે શું છે, એ શોધવા જવાની જીજ્ઞાસા જ ન રાખી, એમાં બીજેથી અહીં આવી લોકો રાજ કરી ગયા ! આપણે કદી બેહતર આધુનિક સંશોધનો શીખ્યા નહિ ને વધુ સારા હથિયારોથી બહારના હરાવી ગયા !

ઓશો રજનીશ વારવાર એ કહેતા કે ''ભારત એવો દેશ છે, જે વાતો તો અજ્ઞાતની કરે છે. પણ એનું ચિત્ત અતીતમાં ચોંટી ગયું છે !'' સહી પકડે હૈ. હવે તો ઉભરો આવ્યો છે કે ઘડીઘડી બે સદીથી આપણા જ બુદ્ધિમાન સુધારાવાદીઓએ જીવ રેડીને જે કામ કર્યું, એને બદલે 'શાસ્ત્રોમાં આમ ને શાસ્ત્રોમાં તેમ' એ જ ચક્કર ચાલુ થઈ ગયા છે. આ લખાય છે ત્યાં જ એક કુમળી વયના વિડિયોજીવી બહેનશ્રીનો વાઇરલ વિડિયો ટપક્યો કે, ''શાસ્ત્રોમાં નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાની મનાઈ છે. એવું કરનારને કંગાલીયતનો સામનો કરવો પડશે ને ભગવત્કૃપા નહિ આવે !''

ખલ્લાસ. કેવો ભયભીત સમાજ બનાવી બેઠા છીએ આપણે ! આપણને આપણી પાસે ગેસ કેમ આવશે કે આપણે આટલા બધા મોબાઇલ વાપરીએ ખરીદીએ છીએ, તો આપણી કોઈ સ્વદેશી બ્રાન્ડ અમેરિકા યુરોપ નહિ તો ચીન કોરિયાની કેમ નથી, એની ફિકર નહિ થાય. પણ શાસ્ત્રોમાં આ કરવાની ના પાડી છે કે હા એની ચિંતા થાય છે ! કલેકટિવલી, સામૂહિક રીતે ઘેનમાં સરકતા સમાજનું આ (અપ)લક્ષણ છે, ને આ નીંદર પણ આજકાલની નથી. આપણે પણ આખા જગતમાં આપણે સર્વોપરી છીએ, વી આર ધ બેસ્ટ એ જ અહંકાર મનમાં રાખીએ છીએ. એને પોષે એના માટે જ તાળીઓ વગાડીએ છીએ. પણ એ મનોભાવમાં હમણા બોલવાની જીભ અને ટાઇપ કરવાની આંગળીના ટેરવે ફિલ્ટર નહિ રાખનારા યુ.એસ. પ્રેસિડેન્ટ ટ્રમ્પસાહેબના એક સ્ટેટમેન્ટે પંચર પાડી દીધું, જેમાં એમણે વાતવાતમાં ભારતને 'હેલહોલ' યાને નરક કહી દીધું ! અને આપણે એક ફોર્મલ નિવેદન (હવે ટ્રમ્પસાહેબ પર તો આથી મોટા દળકટકની પણ અસર નથી થતી !) 'લવિંગ કેરી લાકડીએ સીતાએ રામને માર્યા જો'ની અદામાં દીધું કે 'આવું કહેવું ખોટું છે. અમે કડી નિંદા કરીએ છીએ' વગેરે ટાઇપ. પેલા લાલ લાઇટવાળી આંખોવાળા વિદેશમંત્રીશ્રી તો આજકાલ આમે જીઓપોલિટિક્સમાં આપણી પોઝિશન રિકલાઇનર સોફામાંથી સરકીને ફન્ટરોમાં આવતી જોઈ ખામોશ જ છે.

ટુ બી ફેર વિથ પ્રેસિડેન્ટ ટ્રમ્પ, એમણે ડાયરેક્ટ 'ભારત નરક છે' એવું નહોતું કહ્યું નરકના ઢાંકણમાંથી ઉભરાતા હોય એમ ભારત ને ચીનના લોકો અહીં વસવાટ કરવા આવી ચડે છે, એ મતલબની વાત કરેલી. જેનો પણ સ્પેસિફિક કોન્ટેકસ્ટ યાને સંદર્ભ હતો. વાત હતી, એ ચાલાક મા-બાપની જે જાણી જોઈને ખાસ પ્રવાસ કરીને પણ પોતાના સંતાનને અમેરિકામાં જન્મ આપે છે, જેથી એ બાય બર્થ ફોરેન સિટિઝન બની જાય. નેચરલી આ ખુરાફાતી દિમાગમાં તો આપણે અવ્વલ જ છીએ, ભલે પ્રેસ ફ્રીડમના રેન્કમાં હવે પાકિસ્તાનથી પણ નીચે સરકી ગયા હોઈએ ! ઈન્ડિયન ઈમિગ્રન્ટસ પરદેશમાં ને આ કેસમાં અમેરિકામાં જવારહેવા તલપાપડ છે. 'આઈ લવ માય ઇન્ડિયા' ફિલ્મી પડદે ગાતા એનઆરઆઈ પણ ગીતો ગાઈ, મિત્રોને મળી, મિટ્ટી માથે ચડાવીને રહેવા તો અમેરિકા જ જતા રહે છે ! લાખોની સંખ્યામાં પેન્ડિંગ અરજીઓ છે. એચવનબી વિઝાની પોલિસીમાં જરાક ફેરફાર થાય તો અહીં વાલીઓની છાતીના ધબકારા વધી જાય છે !

આપણે ટ્રમ્પજી જેવા નેતાઓને કોસીએ છીએ કે આપણને વિશ્વગુરૂ કહેવાને બદલે નરકદ્વાર કેમ કહી દીધા ! પણ ખરેખર તો આવી કોમેન્ટ માટે જવાબદાર આપણા રાજકારણી નેતાઓ છે, જેમને લીધે નક્કર સુધારા દુનિયા જોઈને દંગ થઈ જાય, એવા તો સડકના ખાડા કે રખડતા પશુઓની બાબતમાં પણ આવતા નથી ! તો પારકા દેશના ટીકાકારોની સામે ગરમ થવાને બદલે આપણા દેશમાં જ જે કરપ્શન, જે હૂંસાતૂંસી ચાલે છે, એના વિશે તો કોઈક એકાઉન્ટેબિલિટી ફિક્સ કરીએ ! પણ ગેમઝોનમાં બાળકો બળી જાય, પુલ તૂટી જાય ને નાગરિકો મરી જાય, બોટ ઉંધી વળે ને લોકો ડૂબી જાય તો પણ આપણે કોઈ વોઇસ ઓફ પ્રોટેસ્ટ ઉઠાવતા જ નથી ! મતદારોનો એવો ડર જ નેતાઓને રહ્યો નથી કે કામ નહિ કરીએ તો હરાવી દેશે !

એ નરક જ કહેવાય ને જ્યાં માણસોના જીવની જ કોઈ કિંમત ન હોય ! જ્યાં નેતાઓની સુરક્ષા માટે તંત્ર ખડેપગે રહેતું હોય ને નાગરિકો રોજ કમોતે મરે એમાં કોઈનું રૃંવાડું ફરકતું ન હોય ! 

***

અમેરિકામાં ઓરલાન્ડો નગરી પ્રવાસીઓનું સ્વર્ગ છે. યુનિવર્સલ સ્ટુડિયો અને વોલ્ટ ડિઝની વર્લ્ડ તો શિરમોર છે, પણ આખો વિસ્તાર જ તમે જાત ભૂલીને આનંદલોકમાં ખોવાઈ જાવ એવા ફેમિલી થીમ પાર્કથી છલોછલ છે. ત્યાં નગરની વચ્ચોવચ એક કરોડોના ખર્ચે તૈયાર થયેલી રાઈડ એમ જ ઉભી છે. જેને શરૂ થઈ ત્યાં તો બંધ કરાવી દેવાઈ છે.

પૂછો ક્યૂં ? વો યૂં કિ એ ઉંચા ટાવરમાં ફરતે સીટસ ગોઠવાયેલી હોય ને પછી અચાનક ક્વિક ડ્રોપ થાય, એવી રાઇડ હતી. થ્રીલિંગ. એમાં પટ્ટા પણ સેફટી માટે પહેરવાના હતા. એક ખાધેપીધે સુખી એવા જાડા યાને ઓબેસ તરૂણને એમાં બેસવાનું મન થયું. એનું વજન જ ભારે હતું, અને અહેવાલો મુજબ એણે કમરે સીટબેલ્ટ પર સરખો કસીને બાંધ્યો નહોતો. કમનસીબે એ જીવ ભફાંગ દઈ નીચે પડયો ને પ્રાણ ઉપર પહોંચી ગયા. માત્ર એક વ્યક્તિના અકસ્માત મોત (જેમાં એની બેદરકારી પણ હોઈ શકે, કારણ કે બીજા સલામત રહ્યા હતા)ને લીધે પ્રશાસને, અદાલતે આખી રાઇડ જ બંધ કરાવી દીધી. ત્રણ વર્ષથી એ ત્યાં એટલું યાદ દેવડાવતી ઊભી છે કે અચાનક જીવ તો અહીં પણ જઈ શકે છે, પણ એમાં કોઈનો વાંક હોય તો એને જતું કરવામાં કે પ્રજાના પ્રાણના ભોગે સેટિંગ કરવામાં નહિ આવે.

હમણા ફેબુ્રઆરી ૨૦૨૬માં સિએટલમાં રસ્તો ક્રોસ કરતા પોલીસ કારની હડફેટે ગુજરી ગયેલી ૨૩ વર્ષની ભારતીય વિદ્યાર્થિની જાહ્નવીના કેસનો અમેરિકામાં ચૂકાદો આવ્યો એ ખબર છે ને ? એ તો સ્ટુડન્ટ હતી, ને પોલીસ કાર તો કોઈ ઈમરજન્સીને લીધે ફુલ સ્પીડમાં પૂરપાટ ભાગતી હતી. પણ એક અન્ય પોલીસ ઓફિસરે આવા વસાહતી (બહારથી આવેલા ઈમિગ્રન્ટસ)ની લાઈફની શું કિંમત હોય, એવો રિમાર્ક કરતા હોબાળો થયો અને તાજેતરમાં જાહ્નવીના પરિવારને અદાલતે ૨૯ મિલિયન ડોલર ચૂકવવાનો હૂકમ કર્યો. ડોલરના ભાવ (યુરો, પાઉન્ડ, સ્વીસ કાન્ક બધા) સામે આપણે રૂપિયો એવો તો ગગડી ગયો છે કે એની ભારતીય ચલણમાં કિંમત થાય ૨૭૫ કરોડ રૂપિયા ! અને આપણે ત્યાં બે-પાંચ લાખની સહાય મૃતકોને પ્રજાના ટેક્સના પૈસે થાય એ મૂલ્ય છે જીવનનું ! અરે, જબલપુરની ક્રુઝ ડૂબતી હતી ત્યારે ઈંટોનું કામ કરતા મજૂર રમઝાને ૨૫ ફીટ ઉપરથી નદીમાં કૂદકો મારી છ વ્યક્તિને બહાર કાઢ્યા, જેનાંથી ચારના જીવ બચી ગયા ને એ ગરીબ માણસને સરકારે ઈનામ આપ્યું એકાવન હજાર પૂરા ! (ગબ્બરસિંહની શોલેના ૫૦ વર્ષ થયા પણ ઈનામમાં પચાસ પ્લસ એક હજારનો વધારો થયો !) જીવ બચાવવાની કે ગુમાવવાની, બેઉ કિંમત આઈપીએલના ખેલાડીની બે મહિનાની કમાણીના વીસમા ભાગની પણ ન હોય ત્યાં સ્વર્ગ કેમ કહી દેવું ?

અને ફેબુ્રઆરીમાં જ જ્યાં કચરાના ઢગલાને અબે કચરે તૂ જા યહાં સે, કહેવાનું મુખ્યમંત્રીનું મીમ બનતું હોય ત્યાં એક બિલ્ડરે વિશાળ ખાડો બાંધકામ માટે કરી ખાલી ઢાંકીને રાખ્યો, એમાં એક બાઈકસવાર ખાબક્યો હતો. મીડિયાની કાગારોળ બાદ પોલીસ હરકતમાં આવી ગઈ અને એણે આ ગંભીર ગુનામાં ધરપકડ કોની કરી ? ત્યાં તાડપત્રી બાંધીને સૂતા મજૂરની ! એ મજૂરે પોતાના મુકાદમને તો જાણ કરેલી કે કોઈ ખાડામાં પડયું છે. પણ પોલીસને પોતે જ જાણ કેમ ન કરી એ ગુન્હાહિત બેદરકારી માટે ! આ બધું પેલો એન્જીનીઅર મદદના અભાવે નોઈડાના પાણી ભરાયેલ નાળામાં મદદના લાઈવ પોકાર કરતો બાપની નજર સામે ડૂબી ગયો, એ પછી ! એમાં પણ એને બચાવવાના પ્રયાસ કરનાર સામે પોલીસ તપાસ થયેલી ! બોલો, અંધેર નગરીને ગંડુ રાજા જેવા ન્યાયની નવી વાર્તાઓ છે ને !

મૂળ વાત એ કે આપણે ત્યાં વસતિ એટલી વધુ છે ને જાગૃતિ એટલી ઓછી છે કે માણસના જીવની જ કોઈને પડી નથી, ત્યાં શિક્ષણ કે આરોગ્ય કે વૈજ્ઞાનિક વિકાસ વગેરેનું શું થાય ? ત્રાસવાદી હુમલાઓ પણ વાઈરલ મેસેજ બનાવવાના કન્ટેન્ટ બની જાય છે. વડોદરાની હરણી બોટ પછી જબલપુર ક્રુઝ સુધીની ઘટનામાં લાઈફ જેકેટ કે બોટની કેપિસિટી ઓવરલોડમાં કોઈ ગંભીરતા જ નથી, ને લાઈફ જેકેટ કેમ પહેરવા એની પણ કોઈ તાલીમ નથી. ભારતમાં એડવેન્ચર સ્પોર્ટસ પોતાના જોખમે જ કરવા, એવો તાશીરો છે ! આપણું પોતાનું સ્વજન પરેશાન ન હોય, ત્યાં સુધી સેફ્ટીના અભાવે થતા મૃત્યુ આપણા માટે એક આંકડો જ છે ! ફોટો એઆઈ છે, એની સ્પષ્ટતા કરવાની તંત્રને પડી હોય છે, પણ પોતાના ગામમાં જ રીક્ષાટેક્સીવાળા સ્ટેશન કે એરપોર્ટ પર લૂંટ મચાવે એની નથી પડી હોતી !

અને આવું વાંચીને આપણે દુ:ખી થઈએ છીએ, પણ ક્રોધિત થઈને આ બદલાવવા સંગઠ્ઠિત નથી થતા ! આક્રોશ આપણે માત્ર ફિલ્મો, ચિત્રકારો, મોડર્ન, ડ્રેસમાં નાચતી છોકરીઓ, કોમેડિયનો, લેખકો, પ્રેમલગ્ન કરનારાઓ વગેરે માટે જ સંસ્કૃતિબચાવના કાંટાળા ધોકા લઈને રિઝર્વ રાખ્યો છે ! આપણી અદાલતોને સમય રૈનાઓ કેવા જોક કરે છે, એની સજા ફરમાવવાની ઉતાવળ છે, પણ એક હાઈકોર્ટ જજને ત્યાંથી કરોડોની રોકડ પકડાઈ એની તપાસનું ફીડંલુ વળી ગયું એની પરવા નથી ! ઓટીટી પરની અશ્લીલતા કે મરજી મુજબ થતા આંતરજ્ઞાતીય / આંતરધર્મીય લવ મેરેજીસની પાછળ દાંત કચકચાવી અસુરોની જેમ હિંસક થઈને પડતો સમાજ હવા, પાણી, ખોરાક કેટલા પ્રદૂષિત છે અને જીવલેણ બનતા જાય છે, એ બાબતે નફ્ફટાઈની હદે બેફિકર છે !

અહીં મેંગો મિલ્કશેઈક, ફ્રુટ સલાડ કે પાઈનેપલ શિખંડ વિરૂધ્ધ આહાર નથી એવું લખો તો તરત લાગણીદુભાઉ જૂનવાણીઓનું ઝનૂની ટોળું શાસ્ત્રોના નામે ચિલ્લમચિલ્લી મચાવી દેશે પણ આખા ભારતના નવ્વાણું ટકા પેકડ નાસ્તા પામ ઓઈલમાં તૈયાર થાય છે, એ આરોગ્યને હાનિકારક વાસ્તવ સામે એ કોઈના પેટનું સાત્વિક પાણી નહીં હલે ! અહીં દરેકે દરેક ધર્મસ્થળ આસપાસ જે-તે જગ્યાના વાયબ્રેશન્સ શાંતિથી લેવા ના દે એવા ભિખારીઓ ને વેપારીઓની ભીડ છલકાતી હોય છે. પવિત્ર ગણાતી નદીઓના પાણી પી ન શકાય એવા ગોબરાં છે, બધે ભગવાનનો કબજો લઈને બેઠેલા એજન્ટો, પંડાઓ વગેરે ભાવિકોનું ઉઘાડું શોષણ કરી રહ્યા છે ને ઉકેલ આપણે વ્યવસ્થા-બદલવાને બદલે વીઆઈપી દર્શન ઉભા કરીને કાઢ્યો છે !

પરંપરાના નામે આપણે પાખંડપૂજક દેશ બનાવી દીધો છે, જેને કાર્ટૂન જેવા નેતાઓ ગુરુઓ સહન થાય છે, પણ તેજસ્વી મૌલિક ક્રાંતિકારી વૈજ્ઞાનિક દિમાગો નહીં ! વોટ્સેપિયા નફરતી મેસેજીઝ ચાટીને ભાષણો કરનારા જડસુ હિન્દુ કે મુસ્લીમ કે શીખ કે બૌદ્ધ કે જૈન કે ખ્રિસ્તી અહીં રાતોરાત એમના સમુદાયના હીરો થઈ જાય છે, કારણ કે એ મહાનતાના ઇગોને અને આપણે તો શ્રેષ્ઠ પણ બીજા દુષ્ટો ભૂતકાળમાં આમ કરી ગયા એવી ઘૃણાને પલીતો ચાંપે છે. વસતિનિયંત્રણ માટેના જરૂરી-કાનૂન બનાવવાની કામગીરી કરવાને બદલે બધા વોટબેંક માટે જ્ઞાતિવાદી વિભાજનમાં પડયા હોય છે ! ભારતના જ એક રાજ્યમાં બીજા રાજ્યને ભાષા માટે આજની તારીખે ઠોકવામાં આવે છે. મંત્રીઓના ટ્રાફિક જામ માટે અવાજ ઉઠાવનાર આર્મી બેકગ્રાઉન્ડની મહિલા સામે એફઆઈઆર  કરી એનો અવાજ નરમ પાડી દેવામાં આવે છે પણ ગાઝિયાબાદમાં આગ લાગે છે ત્યારે ફાયરબ્રિગેડ પાસે હાઈડ્રોલિક સીડી નથી, એની ચર્ચા નથી થતી !

અહીં સરેરાશ માણસ કશું વાંચતો નથી. એને કોઈ સ્માર્ટલી ઉલ્લુ બનાવી જાય છે, એની એને ગતાગમ નથી. 

આખો દેશ વાસ્તવિકતાને બદલે વાર્તામાં જીવે છે. એવું માને છે કે પહેલા તો સો વર્ષનું જ આયુષ્ય હતું હવે ઘટી ગયું. (હકીકત ઉલટી છે !) દવાની કંપનીઓ ૧૦ %ના ફટાકડાછાપ માર્જીન રાખે જ્યાં કોઈને સંસ્કૃતિનો ભંગ નથી લાગતો. સ્ટેમ્પેડમાં લોકો કચડાઈ જાય, અરે નાના બાળકો પ્રદૂષિત પાણીને લીધે મરી જાય, ઝાંસીમાં થયું એમ નવજાત શિશુઓ ભડથું થઈ જાય એમાં કોઈ જસકિરતસિંહ ઉર્ફે હમઝા કેમ નથી એની પરવા આપણે ફિલ્મી પડદે પાકિસ્તાન કૂટાતું જોઈને અભેરાઈએ ચડાવી દઈએ છીએ, પણ ફિલ્મોમાં પણ ચીનની ગલવાનઘાટીનું નામ આવે તો બાકાયદા એ બદલાવી રિલીઝ અટકાવી દઈએ છીએ, કે ચીન સામે ડોળા કાઢી ન શકાય ! તે ચીન આકાશમાં સ્પેસસિટી કેમ બનાવવું એના સપના જુએ ત્યારે આપણે ધામમાં જવાના વિમાનભગવાનની કથાઓ ગાઈએ છીએ ! આપણે સીસ્ટમના નામે ગરીબ જીતુ  મુંડા જેવા નાગરિકોને ધક્કા ખવડાવીએ છીએ. આપણે સરકારને પૂછવાના સવાલ વિપક્ષને પૂછીએ છીએ, ન્યાય માટેની તીવ્રતા મોક્ષ માટે રાખીએ છીએ, પહાડો, જંગલો કાપવાને વિકાસ સમજીએ છીએ, ગોખણપટ્ટીના શિક્ષણની કમાન ભણેલા અભણ જેવા મીડિયોકરને સોપીએ છીએ અને આ બધા માટે જવાબદાર કોને ઠેરવીએ છીએ ?

જેણે સૌથી વધુ આવા મુદ્દે જનતાને ઊંઘમાંથી ઉઠાડવાનો પ્રયાસ કરેલો એ મહાત્મા ગાંધીને ! દેશને ભવિષ્યમાં નથી જવું, ભૂતકાળમાં જ રહેવું છે ! ઇમોશનલ થઇને ઇમેજનું મેનેજમેન્ટ કરવું છે, ડેમેજનું નહિ !

ઝિંગ થિંગ

''જનતા ચોવીસે કલાક આંદોલન મોડમાં કેવી રીતે રહે? એમને એમની રોજીરોટીની સમસ્યાઓ છે. આપણે ત્યાં એક દુર્ઘટના ન્યુઝમાંથી એટલે નથી જતી કે, એનું કાયમી નિવારણ થઇ ગયું છે. પણ એટલે જાય છે કે, એથી મોટી બીજી દુર્ઘટના થઇ જાય છે.''

(સંકેત વર્મા)