૭૫ વર્ષ પહેલા નાગાસાકી પરના અણુ હુમલામાં આ શખ્સ કેવી રીતે બચેલા ?
માત્ર ૧૦ વર્ષ જ જીવશે તેવી આગાહી ખોટી પાડી છે.
પરમાણુ બોબ રીબાવીને મારે છે એ સૌથી ખતરનાક છે
Updated: Aug 10th, 2020
ટોકયો,૧૦, ઓગસ્ટ, ૨૦૨૦, સોમવાર
જાપાન થયેલા પરમાણુ હુમલાને ૭૫ વર્ષ થયા છે. એ સમયે અણુ સંશોધન પ્રાથમિક તબક્કામાં હતું પરંતુ જો હવે પરમાણુ પ્રહાર થાય તો જાપાનના હિરોશીમા અને નાગાસાકી કરતા ૧૦ ગણો વિનાશ વેરાય તેમ છે. નાગાસાકી પરમાણુ હુમલામાં બચી ગયેલા એક નાગરિકને રેડિએશનની અસર થઇ ત્યારે તે માત્ર ૧૦ વર્ષ જ જીવશે એવી ડોકટર દ્વારા આગાહી કરવામાં આવી હતી પરંતુ પરમાણુ દુર્ઘટનાના ૭૫ વર્ષના આજે પણ જીવંત સાક્ષી છે. ૯ ઓગસ્ટના રોજ નાગાસાકી પર થયેલા અણુ હુમલામાં નોબૂ હાનાઓકા બચી ગયા હતા. પરમાણુ શકિત જાણે કે બાળકને રમવાનું રમકડુ હોય એવું બાલિશ વર્તન ઉત્તર કોરિયા જેવા દેશના તાનાશાહ કરી રહયા છે ત્યારે નોબૂ હાનાઓકાનો મેસેજ સમજવા જેવો છે. પરમાણુ બોબ માત્ર તમને તાત્કાલિક મોત આપે છે એટલું જ નહી તે રીબાવીને દર્દનાક મોત આપે છે.
અમેરિકાએ ૬ ઓગસ્ટે હિરોશીમા અને ૯ ઓગસ્ટના રોજ નાગાસાકી પર હુમલો કર્યો હતો. અણુ બોબ વિસ્ફોટથી હિરોશીમામાં ૪૦ હજાર અને નાગાસાકીમાં ૭૪ હજાર લોકોના મોત થયા હતા. નાગસાકીમાં રહેતા નોબૂ હાનાઓકાની ઉંમર માત્ર ૮ માસની હતી.તેમના માતા પિતા નાગાસાકીની બહાર લઇને ગયા હતા પરંતુ રેડિએશન એટલું ખતરનાક હતું કે શહેરની બહાર રહેતા લોકો પણ ભોગ બન્યા હતા.તેઓ માત્ર ૬ વર્ષના હતા ત્યારે રેડિએશન સામે ઝઝુમી રહેલી માતા અને બહેનનું કરુણ મોત થયું હતું. ડોકટરે ૧૦ વર્ષથી વધારે નહી જીવે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી હોવાથી થોડિક ઠંડી લાગે કે તાવ આવે તો પણ ડરી જતા હતા. હાનાઓકાને ડર હવે કોઠે પડી ગયો છે આજે પણ થોડાક બીમાર પડે કે ડરી જાય છે. પોતાની જેમ માતા અને બહેન કેમ ના જીવી શકયા તેના અફસોસ સાથે જીવે છે.
આમ તો પરમાણુ બોબની વિભિશિકા કેટલી ખતરનાક છે તેમનાથી વધારે કોઇ જાણતું નથી.રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ અપ્રસારની સંધી ખતમ થઇ રહી છે તેવા સંજોગોમાં પરમાણુ દોટ વધે તેવી શકયતા છે.સંરક્ષણના શ્રેત્રમાં પરમાણુ શકિત સમિકરણો બદલી નાખતી હોવાથી દરેક દેશ ખાનગી રીતે અણુ સંશોધનમાં જોતરાવા ઉત્સૂક છે. સરહદ પર પરમાણુ શસ્ત્રો ગોઠવીને એક બીજાને ડરાવતા ધમકાવતા રહે છે પરંતુ અણુબોંબનો અનુભવ જાપાને કર્યો છે તેવો હવે કોઇ કરી શકવા સમર્થ નથી.