જયાં એલિયન હોઇ શકે તેવા 1000 તારાઓની ઓળખ કરવામાં આવી
આ તારાઓ પૃથ્વીથી 326 પ્રકાશવર્ષના ઘેરાવામાં આવેલા છે
સૌથી નજીકનો તારો માત્ર 8.5 પ્રકાશ વર્ષ દૂર છે
Updated: Oct 26th, 2020
વોશિંગ્ટન,૨૬,ઓકટોબર,૨૦૨૦,સોમવાર
વૈજ્ઞાનિકોએ ૧૦૦૦થી વધુ તારાઓની ઓળખ કરી છે જેના પર એલિયન હોઇ શકે છે. આ માહિતી ૧૦૦૪થી વધુ તારાઓ પર જીવન હોઇ શકે છે તે અંગેનું તારણ કાઢયા પછી બહાર આવી છે. આ અંગેના સ્ટડીનાં લેખિકા લીઝા કલ્ટેનેગરે મત પ્રગટ કર્યો કે તારવેલા ગ્રહોની આસપાસ જો આવા કોઇ એલિયન આપણને જોઇ રહયા હોયતો તે આપણી પૃથ્વીના વાતાવરણમાં બાયોસ્ફીયરનાં સંકેત જોઇ શકશે. આમાંના કેટલાક તારાઓ તો એવા પણ છે જેને દુરબીન કે ટેલિસ્કોપ વિના આકાશમાંથી પણ જોઇ શકાય છે.
આ તારાઓ પૃથ્વીથી ૩૨૬ પ્રકાશવર્ષના ઘેરાવામાં છે જેમાંનો સૌથી નજીકનો તારો ૮.૫ પ્રકાશવર્ષના અંતરે છે જયારે સૂર્યથી ૨૮ પ્રકાશ વર્ષ અંતર છે. પરગ્રહવાસીઓની કલ્પના પૃથ્વી પરના માનવીઓને ખૂબજ નવાઇ લગાડે છે પરંતુ આજ સુધી તેનો કોઇ જીવંત કે સાંકેતિક પુરાવો મળ્યો નથી. આથી બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય સજીવો રહે છે તે કહી શકાતું નથી. જો કે કેટલાક લોકો એવું સ્પષ્ટ માને છે કે એલિયન હોય છે. આટલું મોટા બ્રહ્માંડની ઉત્પતી થઇ તો તે એક માત્ર પૃથ્વી પર જ જીવન હોય તે શકય નથી.
મહાન ભૌતિકશાસ્ત્રી સ્વ સ્ટીફન હોકિંગનું એવું માનવું હતું કે પૃથ્વી બહારના ગ્રહો પર પણ જીવન છે એટલું જ નહી આ જીવો માણસ કરતા એડવાન્સ હોઇ શકે છે. એટલું જ નહી એલિયન સામે માણસે સાવધાન રહેવાની તૈયારીઓ પણ કરવી જોઇએ. ઘણા તો એવું પણ માને છે કે અમેરિકાના એરિયા ૫૧ માં એલિયન્સ છુપાવેલા છે. એક માહિતી મુજબ આકાશમાં ૧૦૦ થી ૩૦૦ અબજ તારાઓ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાના ખગોળવિદોએ માત્ર ૧ કરોડ તારાઓનો અભ્યાસ કર્યો છે આના આધારે એલિયન નથી તેવું માનવું અઘરું છે. આથી જ તો તારણમાં ૧૦૦૦ તારાઓને તારવામાં આવ્યા છે જયાં અલગ પ્રકારના સજીવો હોઇ શકે છે એવું માનવામાં આવે છે.