For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ગુણી ચોરાતા વેપારીઓએ હરાજી બંધ કરી

Updated: Nov 23rd, 2021

Article Content Image

- માર્કેટીંગ યાર્ડમાં વારંવાર ચોરી થાય છે છતા કોઈ પગલા લેવાતા નથી 

- મગફળીની ગુણી ચોરાતા વેપારીઓમાં રોષ : વેપારીઓએ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીને રજુઆત કરી 

ભાવનગર : મગફળીની ગુણીની ચોરીની બાબતને લઈ આજે મંગળવારે ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ડખ્ખો જોવા મળ્યો હતો. ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની હરાજી દરમિયાન કેટલીક મગફળીની ગુણીની ચોરી થતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો અને વેપારીઓએ વિરોધ કરી મગફળીની હરાજી બંધ કરી દીધી હતી. આ બાબતે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીને વેપારીઓએ રજુઆત કરી હતી. 

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં આજે મંગળવારે સવારે મગફળીની હરાજી શરૂ હતી તે દરમિયાન જીતેન્દ્ર એન્ડ કંપની ઘોઘાવાળાએ ખરીદેલી મગફળીની બે ગુણીની ચોરી થઈ હતી અને તેની અંદાજીત કિંમત રૂ. ૭ હજાર છે. મગફળીની ગુણી ચોરાતા વેપારીઓમાં કચવાટ ફેલાયો હતો અને વેપારીઓએ વિરોધ નોંધાવી તત્કાલ હરાજી બંધ કરી દીધી હતી. આ બાબતે ભાવનગર માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખને વેપારીઓએ રજુઆત કરી હતી તેથી પ્રમુખ સ્થળ પર આવ્યા હતા અને માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીને રજુઆત કરી હતી. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીએ તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. આવતીકાલે બુધવારે સવારે ૧૧ કલાકે જિલ્લા રજીસ્ટ્રારને રજુઆત કરવામાં આવશે. માર્કેટીંગ યાર્ડમાં વારંવાર ચોરી થાય છે છતા યોગ્ય પગલા લેવામાં આવતા નથી તેથી ખેડૂત અથવા વેપારીઓને નુકશાન થતુ હોય છે. અગાઉ પણ ડુંગળી, શીંગ વગેેરેની ચોરી થઈ છે પરંતુ સીકયુરીટી વધારવામાં આવતી નથી, સીસીટીવી કેમેરા નખાવવામાં આવતા નથી તેમ ભાવનગર માર્કેટીંગ યાર્ડના વેપારી એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યુ હતું. 

મગફળી ચોરીના પગલે એક કલાક સુધી હરાજી બંધ રહી હતી અને એક કલાક બાદ વેપારીઓને સમજાવી ફરી હરાજી શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ઘણા સમયથી ચૂંટણી થઈ નથી તેથી હાલ જિલ્લા રજીસ્ટ્રાર અને સેક્રેટરી વહીવટ સંભાળી રહ્યા છે ત્યારે માર્કેટીંગ યાર્ડનો વહીવટ સુધારવા માટે તત્કાલ ચૂંટણી કરવી જરૂરી છે તેમ વેપારીઓમાં ચર્ચાય રહ્યુ છે. 


Gujarat