પોરબંદરમાં બેંકના ત્રણ કર્મીઓ સંક્રમિત, સૌરાષ્ટ્રમાં કોરોનાનાં ચાર નવા કેસ
- કોરોનાએ હજુ વિદાય લીધી નથી લોકો બેદરકાર ન રહે
Updated: Nov 24th, 2021
- પોરબંદરમાં બેંક ઓફ બરોડાનાં કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડતા બેન્ક એક દિવસ બંધ રહી
- ધોરાજીમાં પ૬ વર્ષનાં દાદા અને ૩ વર્ષનાં ૫ૌત્રનો પોઝીટીવ રિપોર્ટ,મોરબીમાં મહિલા કોરોના સંક્રમિત
રાજકોટ
કોરોનાનાં કેસ ઘટતા જતા હોવાથી લોકોમાં ડર ઘટયો છે પરંતુ કોરોનાએ હજુ વિદાય લીધી નથી લોકો સાવચેતી નહિ રાખે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ભીતિ તબીબો વ્યકત કરી રહયા છે. પોરબંદરમાં એક બેન્કનાં ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા બેન્ક એક દિવસ બંધ રાખવાની ફરજ પડી હતી. દરમિયાન રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં બે સહિત ચાર કેસ આજે નોંધાયા છે.
પોરબંદરનાં વાડી પ્લોટ વિસ્તારમાં કોરોનાએ માથુ ઉંચકતા બેંક ઓફ બરોડાની શાખાનાં મેનેજર સહિત ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા એક દિવસ માટે બેકની આ શાખા બંધ આજે બુધવારે બંધ રાખવામાં આવી હતી. બેંકની બહાર જ આ અંગેની નોટીસ લગાવી દેવામાં આવી હતી. બેંકનાં એક કર્મીને રાજકોટની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોરબંદરમાં ફરી કોરોનાનાં આંકડા છુપાવવાનાં ખેલ શરુ થયા છે. લોકો પણ માસ્ક નથી પહેરતા અને બેદરકાર રહે છે.
રાજકોટ શહેરમાં આજે એક પણ નવો કેસ ન આવતા લોકોએ રાહત અનુભવી હતી પરંતુ રાજકોટ ગ્રામ્યમાં ધોરાજીમાં બે કેસ નોંધાયા છે. પ૬ વર્ષીય એક પ્રોઢ અને તેમના ત્રણ વર્ષીય પોૈત્ર કોરોના સંક્રમિત થયા છે. ધોરાજીમાં ફરી કોરોના માથુ ઉંચકી રહયો છે. મોરબીમાં પણ રવાપર વિસ્તારની ૩૬ વર્ષિય એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મોરબીમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે આ ઉપરાંત ગીર સોમનાથ જિ.માં એક કેસ સાથે સૌરાષ્ટ્રમાં ચાર કેસ જયારે રાજયમાં ર૯ કેસ આજે નોંધાયા હતા.