એસબીઆઈ અધિકારીના બંધ મકાનમાં ચોર ત્રાટકયા, 4.21 લાખની ચોરી
- મુળ જુનાગઢના અને કાલાવડમાં ફરજ બજાવતા
Updated: Nov 23rd, 2021
- રાજકોટના યુનિવર્સિટી રોડ જેવા પોશ એરીયામાં આવેલા મકાનમાં મુખ્ય દરવાજામાંથી ત્રાટકી તસ્કરો બીજા માળેથી ચોરી કરી ગયા
શહેરના યુનિવર્સિટી રોડ પરના જલારામ-ર માં રહેતા અને કાલાવડમાં એસબીઆઈની મુખ્ય શાખામાં ચિફ મેનેજર તરીકે ફરજ બજાવતાં એજાઝભાઈ અમિનભાઈ બારેજીયા (ઉ.વ.૩૭) ના અઠવાડીયુ બંધ રહેલા મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂા.૪.૨૧ લાખની માલમત્તા ચોરી કરી ગયાની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ છે.
આજે સવારે ચોરીની જાહેરાત થતા જ ગાંધીગ્રામ પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. ફીંંગર પ્રિન્ટ એકસપર્ટ અને ડોગ સ્કવોડને પણ સ્થળ પર બોલાવી લેવાયા હતા. જો કે હવે મિલ્કત વિરૂધ્ધના મોટા ભાગના ગુનાના ભેદ ઉકેલવામાં સીસીટીવી ફુટેજ મદદરૂપ થતા હોવાથી તેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
મુળ જુનાગઢના મકાન માલિક એજાઝભાઈ ગઈ તા.૧ર મીએ પરીવાર સાથે રાજસ્થાન ફરવા ગયા હતા. ગઈ તા.૧૯ મીએ ઘરે પરત ફરીને જોયુ તો મેઈન દરવાજાનો સેન્ટ્રલ લોક ખુલ્લો હતો. અંદર જોતા જ બધો સામાન અસ્તવ્યસ્ત પડયો હતો. જેથી પરિસ્થિતિ પામી ગયા હતા.
ઉપરના માળે આવેલા રૂમમાં જોતા શેટી, પલંગ અને કબાટ ખુલ્લા જોવા મળ્યા હતા. ત્યાં પણ બધો સામાન વેરવિખેર મળ્યો હતો. રૂમના કબાટમાં તપાસ કરતા સોનાની બે બંગળી, બ્રેસલેટ, ચેઈન, બુટી, નાકમાં પહેરવાના બે દાણા, ચાંદીના દાગીના, લેપટોપ, કેમેરો ઉપરાંત રોકડા રૂપિયા, એન્ટીક કલેકશન માટે એકત્રીત કરેલ જુના ચલણી સિક્કા અને નોટ કે જેની કિંમત આશરે રૂા.એક લાખ હતી તે ગાયબ મળ્યા હતા.
ખરેખર ચોરીમાં કઈ કઈ વસ્તુઓ ગઈ છે તેની તપાસ કર્યા બાદ આખરે આજે પોલીસને જાણ કરી હતી. જેના આધારે ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.