સૌરાષ્ટ્રના 42 ડેમો છલકાયા,60 ડેમો હાઈ એલર્ટ પર,જળસંગ્રહ 74.67 ટકા
- કચ્છના જળાશયોમાં સૌથી ઓછો,દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે જળસંગ્રહ થયો
Updated: Sep 15th, 2021
- ૨૦૭ ડેમોમાં ૫,૭૬,૭૮૯ એમસીએફટી સંગ્રહ તેમાં ૩૦.૮૪ ટકા નર્મદાડેમમાં
- ચોમાસામાં ૧૦૫ દિવસમાં સૌરાષ્ટ્રના ડેમોમાં સંગ્રહ થયું ૧૦૪૩૯૮૦૦૦૦૦૦૦ લિ.,૩૬૮૯૦ એમસીએફટી પાણી
રાજકોટ
ચોમાસાના સાડાત્રણ માસ પૂરા થયા છે ત્યારે સમગ્ર ગુજરાતના ૨૦૭ જળાશયોમાં ૧૬૩૩૨૦ લાખ ઘનમીટર અથવા તો ૫,૭૬,૭૮૯ એમ.સી.એફટી.પાણીનો સંગ્રહ થયો છે જે હજુ ગત વર્ષની સરખામણીએ આશરે ૧.૫૪ લાખ એમ.સી.એફટી. ઓછું છે. જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં આજ સુધીમાં ૯૦૦૭૭ એમ.સી.એફટી.ની ક્ષમતા સામે ૬૭,૨૫૯ એમ.સી.એફટી.નો એટલે કે ૭૪.૬૭ ટકા જળસંગ્રહ થયો છે.
સૌરાષ્ટ્રના ૪૨ ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે, છલકાઈ ગયા છે અને આશરે ૩૦ જેટલા ડેમો છલકાવાના આરે છે. સિંચાઈ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ૬૦ ડેમોને હાઈ એલર્ટ પર મુક્યા છે જેના નીચાણવાળા વિસ્તારમાં પસાર થવું જોખમી છે.
હજુ પખવાડિયા પહેલા જ સૌરાષ્ટ્રમાં જળસંગ્રહ માત્ર ૩૫ ટકા હતો તેમાં સોમવારે ભારે વરસાદ અને ગઈકાલે પણ સોરઠ પંથકમાં ભારે વરસાદ બાદ જળસંગ્રહ ૩૦ ટકા વધી ગયો છે. જો કે, ગત વર્ષ જેટલું ચોમાસુ ભારે નથી, ગત વર્ષે આજ તા.૧૫ સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ડેમોમાં ૮૫,૭૧૨ એમ.સી.એફટી.નો સંગ્રહ હતો જે સાપેક્ષે હાલ ૧૮,૪૫૩ એમ.સી.એફટી.સંગ્રહ ઓછો છે.
પરંતુ, ગત તા.૩૧ મેની સ્થિતિએ સૌરાષ્ટ્રના ડેમોમાં માત્ર ૩૦,૩૬૯ એમ.સી.એફટી. (આશરે ૩૩ ટકા) પાણી હતું તેમાં ૩૬,૮૯૦ એમ.સી.એફટી.નો વધારો થયો છે. આ વધારો લિટરમાં ગણીએ તો ૧૦૪૩૯૮૦૦૦૦૦૦૦ અર્થાત્ ૧,૦૪,૩૯૮ કરોડ લિટરનો થયો છે. રાજકોટ જેવા મહાનગરની દૈનિક જળજરૂરિયાત ૩૨ કરોડ લિટરની છે.
જો કે સૌરાષ્ટ્ર કરતા સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની સાથે સૌથી વધુ જળસંગ્રહ થયો છે. ૧૩ ડેમોમાં ૨,૬૬,૭૨૩ એમ.સી.એફટી.નો એટલે કે સંગ્રહક્ષમતાના ૮૭.૫૭ ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતના ડેમોમાં માત્ર ૨૫.૫૮ ટકા (૧૯૪૭૩ એમ.સી.એફટી.)નું જ સ્ટોરેજ છે. મધ્ય ગુજરાતમાં ૫૧.૧૫ ટકા સંગ્રહ થયો છે.
સૌથી ઓછો જળસંગ્રહ કચ્છ વિસ્તારના ૨૦ ડેમોમાં માત્ર ૨૫.૮૦ ટકા છે. કચ્છના ડેમોમાં કૂલ ૧૧૭૩૪ની ક્ષમતા સામે ૩૦૨૭ એમ.સી.એફટી. એટલે કે રાજકોટ જિલ્લાના એક ભાદર ડેમ કરતા અર્ધો સંગ્રહ થયો છે.
સમગ્ર ગુજરાતના જળાશયોની ૮.૯૧ લાખ એમ.સી.એફટી.ની સ્ટોરેજ કેપેસિટી સામે ૫.૭૭ લાખ એમ.સી.એફટી.નો સંગ્રહ થયો છે તેમાં સરદાર સરોવર ડેમમાં જ ૧.૭૮ લાખ એમ.સી.એફટી.નો એટલે કે તમામ જળાશયોમાં ૩૦.૮૪ ટકા સંગ્રહ એક વિશાળકાય નર્મદા ડેમમાં છે. જો કે હજુ નર્મદા ડેમ ૫૩.૨૫ ટકા જ ભરાયો છે.