દલદેવડિયા, સમાણા, નરમાણા સહિતના ગામોમાં દે..માર 20થી 25 ઈંચ વરસાદ
Updated: Sep 13th, 2021
જામજોધપુર પંથકના ગામો ઉપર આભ ફાટયું
રાજકોટ : જામજોધપુરના દલ દેવડીયા, સમાણા, નરમાણા સહિતના ગામોમાં ગઈકાલ રાતથી આજે બપોર સુધીમાં ૨૦થી ૨૫ ઇંચ અનરાધાર વરસાદ વરસી પડતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. ખેતરો ધોવાઈ જતાં કપાસ, મગફળી અને અડદના પાકનો સોથ વળી ગયો હતો.
વાહનવ્યવહાર ઠપ્પઃ ખેતરો ધોવાયાઃ કપાસ, મગફળી અને અડદના પાકનો રીતસર સોથ વળી ગયો
જામજોધપુર તાલુકાના દલ દેવડીયા, સમાણા, નરમાણા સહિતના ગામોમાં ગઈકાલ સાંજથી ધીમીધારે વરસાદ ચાલુ થયા બાદ મોડી રાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું અને અનરાધાર વરસાદ વરસી પડયો હતો. આજે બપોર સુધીમાં સાંબેલાધારે સાથે ૨૦ થી ૨૫ ઈંચ વરસાદ વરસી જતા ગ્રામીણ વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા.
વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. ખેતરોમાં રહેતા પરિવારો ત્યાં જ ફસાઈ ગયા હતા. મોબાઇલ ટાવર પણ આવતા બંધ થઈ ગયા હતા. ખેતર પણ ધોવાણ થઇ જતા કપાસ, મગફળી અને અડદ સહિતના પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેથી ખેડૂતોની સ્થિતિ પડયા પર પાટું જેવી સર્જાય છે.