For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત : 5 ને ઈજા

Updated: Nov 16th, 2021


- પીપરલા પાસે દુર્ઘટના સર્જાતા : વળાવડના યુવાન અને ભાવનગરના વૃધ્ધાએ દમ તોડયા

- ભાવનગરનો પરિવાર મોખડકા ગામે લગ્ન પ્રસંગે જ્યારે વળાવડના બે યુવાન કુંભણ મજુરી કામે જઈ રહ્યા હતા

ભાવનગર : સિહોર તાલુકાના પીપરલા ગામ પાસે આજે મંગળવારે સવારે કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બાઈક સવાર યુવાન અને કારમાં મુસાફરી કરતા વૃધ્ધાનુ મોત નિપજવા પામ્યા હતા. જ્યારે અન્ય પાંચને નાની મોટી ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. ભાવનગરનો પરિવાર મોખડકા ગામે લગ્ન પ્રસંગે જ્યારે વળાવડના બે યુવાન કુંભણ ગામે મજુરી કામે જઈ રહ્યા હતા તે વેળાએ દુર્ઘટના ઘટવા પામી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના વળાવડ ગામે રહેતા પ્રકાશભાઈ બાબુભાઈ સોલંકીએ સોનગઢ પોલીસ મથકમાં કાર નંબર જીજે.૦૫ આર.જે-૬૭૩૭ના ચાલક આષિશ અરવિંદભાઈ સોનાણી સામે ફરિયાદ નોંધાવી હતી કે, આજે સવારે તેઓ અને તેના કુંટુબી ભાઈ પ્રવિણભાઈ રામસંગભાઈ સોલંકી બન્ને બાઈક નંબર જીજે.૦૭.એકે-૦૮૨૧ લઈ પોતાના ગામથી કુંભણ ગામે જઈ રહ્યા હતા. તે વેળાએ સોનગઢ-પાલીતાણા માર્ગ ઉપર આવેલ પીપરલા ગામ પાસે આવેલ એકલીયા મહાદેવ મંદિર નજીક પહોંચતા ઉક્ત કારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી તેઓના બાઇક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા તેઓને અને તેના ભાઇ પ્રવિણભાઇને ગંભીર ઇજા પહોંચાડતા પ્રવિણભાઇનું મૃત્યુ નિપજવા પામ્યું હતું.

જ્યારે અકસ્માત બાદ કાર ખાળિયામાં ખાબકતા કારમાં મુસાફરી કરતા શાંતુબેન નાનજીભાઇ સુતરીયા (ઉ.વ.૮૦, રે.વરાછા વિસ્તાર, સુરત)નું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય પાંચ લોકોને નાની-મોટી ઇજા પહોંચતા તમામને સિહોર-ભાવનગર સારવારમાં ખસેડવાાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં સોનગઢ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ સિહોરના વળાવડ ગામે રહેતા બન્ને યુવાન પોતાના ગામથી બાઇક લઇ કુંભણ ગામે મજુરી કામ અર્થે જઇ રહ્યા હતા ત્યારે ક્રિએટા કારમાં સવાર પરિવાર ભાવનગરથી મોખડકા ગામે લગ્નપ્રસંગે જઇ રહ્યો હતો તે વેળાએ દુર્ઘટના ઘટવા પામી હતી. ઉક્ત ફરિયાદ અનુસંધાને સોનગઢ પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat