આજથી ભાવનગરમાં રાત્રીના 9 કલાક સુધી દુકાનો ખુલ્લી રહેશે
- કોરોનાના કેસ ઘટતા વેપાર-ધંધા માટે રાહત અપાઈ, ઘણી છુટછાટો અપાઈ
- 10 જુલાઈ સુધી રાત્રિના 10 થી સવારના 6 સુધી રાત્રી કરફયુ યથાવત : વેપારી સહિતાનાને ફરજીયાત રસી લેવી પડશે
Updated: Jun 25th, 2021
ભાવનગર : કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો મુકયા હતા પરંતુ હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે ભાવનગર સહિત રાજ્યભરમાં સરકાર દ્વારા વેપાર-ધંધા માટે છુટછાટ આપવામાં આવી રહી રહી છે. નવા જાહેરનામાનો અમલ આવતીકાલ શનિવારથી થશે, જેમાં ઘણી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે વેપાર-ધંધામાં વધુ કલાકની છુટછાટ આપતા વેપારીઓને થોડી રાહત થશે તેમ જણાય રહ્યુ છે. રાત્રી કરફયુ આગામી દિવસોમાં હજુ વધુ છુટછાટ આપવામાં આવશે તેમ ચર્ચાય રહ્યુ છે.
ભાવનગર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે વેપાર-ધંધામાં થોડી છુટછાટ આપી છે. આગામી તા. ર૬ જુન થી ૧૦ જુલાઈ સુધી નિયમમાં ફેરફાર કરવામાં આવેલ છે, જેમાં રાત્રીના ૯ કલાક સુધી વેપાર-ધંધા ખુલ્લા રાખવાની છુટ આપવામાં આવી છે. રાત્રીના ૧૦ થી સવારના ૬ કલાક સુધી રાત્રી કરફયુ યથાવત રાખવામાં આવેલ છે. શહેરમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. શહેરમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશેપ, હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. શહેરમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે, અંતિમક્રિયા અને દફનવિધિમાં ૪૦ લોકોને છૂટ અપાઇ છે.
સામાજિક- રાજકીય પ્રસંગો અને ધામક સ્થાનો પર હોલની ક્ષમતાના ૫૦ ટકા અને મહત્તમ ૨૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે. વાંચનાલયોની ક્ષમતાના ૬૦ ટકાને મંજૂરી અપાઇ છે. પાર્ક-ગાર્ડન રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. તેમ ભાવનગરના જિલ્લા કલેકટરના જાહેરનામાં જણાવવામાં આવેલ છે. આ જાહેરનામાનુ દરેક વ્યકિતએ પાલન કરવાનુ રહેશે. જાહેરનામાનુ ઉલ્લંધન કરનાર વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં હજુ કોરોનાના કેસ ઘટતા વધુ છુટછાટ આપવામાં આવશે અને રાત્રી કરફયુ પણ હટાવવામાં આવશે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.