યશવંતરાય નાટયગૃહ છેલ્લા પોણા 2 વર્ષથી બંધ હાલતમાં રહેતા રોષ
Updated: Nov 17th, 2021
- રિનોવેશનની ગ્રાન્ટના અભાવે
- સીલીંગ, ફ્લોટીંગ, પીઓપી, કંપાઉન્ડ વોલ સહિતના કામ માટે ૯૫ લાખની ગ્રાન્ટ મંગાઇ પણ વિભાગમાં પ્રશ્ન અટક્યો
શહેરના મહિલા કોલેજ સર્કલ સ્થઇત યશવંતરાય નાટયગૃહ એ કલા જગત માટે પોસાય તેવું પ્લેટફોર્મ પુરૂ પાડતું ઓડીટોરીયમ છે. પરંતુ કોરોના કાળને લઇ બંધ થયા બાદ રહેતા રહેતા શેડ નબળો પડતા પાણી ઉતરતા સીલીંગ, પીઓપીમાં ગાબડા પડી ગયા હતા અને ફ્લોરીંગને પણ નુકશાન થયું હતું. જ્યારે વાવાઝોડાના કારણે કંપાઉન્ડ વોલ સહિતનું નુકસાન વધ્યું હતું જેને લીધે હાલ આ નાટયગૃહ છેલ્લા પોણા બે વર્ષથી બંધ હાલતમાં રહ્યો છે. જે અંગે સ્થાનિક કલાકાર, આયોજકો દ્વારા વખતો વખત રજૂઆતો કરાઇ છે અને તંત્ર દ્વારા પ્રથમ ૮૦ અને વાવાઝોડા બાદ ૧૫ લાખનો ઉમેરો કરી ગ્રાન્ટ ફાળવવા ગાંધીનગર વડી કચેરીને માંગણી મોકલાઇ હતી જે દરખાસ્ત વડી કચેરી દ્વારા વિભાગમાં મોકલી આપી છે પરંતુ વિભાગમાંથી કોઇપણ કારણોસર ગ્રાન્ટ પાસ થતી નથી અને હાલ મર્યાદીત સંખ્યા સાથે નાટયગૃહ શરૂ કરવાની પરવાનગી હોવા છતાં રિનોવેશનના વાંકે શરૂ થઇ શકતો નથી. જો કે, અગાઉ થયેલ રિનોવેશનની કામગીરી પણ શંકાસ્પદ થઇ હોવાનો રોષ કલા જગતમાં વ્યાપ્યો છે.