કાલાવડ પંથકમાં ૬ કલાકમાં સાંબેલાધારે ૧૦થી ૧૭ ઈંચ
Updated: Sep 13th, 2021
ભારે વરસાદનાં પગલે અનેક ગામો પાણીમાં ગરકાવ
રાજકોટ : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આજે વહેલી સવારે ૬.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ૧૦ ઇંચ જેટલો ભારે વરસાદ પડી ગયો છે, જેના કારણે અનેક ગામો પાણીમાં ડૂબ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો ૧૫ થી ૧૭ ઈંચ જેટલો ભારે વરસાદ પડી ગયાના પણ અહેવાલો મળી રહ્યા છે. અને વહીવટી તંત્ર રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયું છે.
તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલી રેસ્ક્યુ કામગીરી, સલામત સ્થળે ખસી જવા ચેતવણી
જામનગર જિલ્લાના કાલાવડ માં ગઈ કાલે રવિવાર ના દિવસ દરમિયાન ધોધમાર ૭ ઇંચ વરસાદ પડી ગયો હતો, ત્યાર પછી આજે તેનાથી પણ વધુ ભારે વરસાદ નોંધાયો છે. સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીના માત્ર છ કલાકના સમયગાળા દરમિયાન કાલાવડ ટાઉન અને આસપાસના વિસ્તારમાં ધોધમાર ૧૦ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. એટલું જ માત્ર નહીં, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો ૧૫થી ૧૭ ઇંચ જેવો ભારે વરસાદ પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ભારે વરસાદના કારણે કાલાવડ પંથકના મોટાભાગના ગામડાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે, અને તંત્ર ઉંધામાથે થયું છે.
પાણીના પુરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે અવિરત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કાલાવડ પંથકમાં પડેલા ભારે વરસાદને લઇને જામનગર ગ્રામ્યના અનેક ગામોમાં પણ પાણી ઘૂસ્યા છે, અને તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવા ચેતવણી આપવામાં આવી રહી છે.