For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સફેદ ડાઘ : સ્વીકૃતિ એકમાત્ર જ ઉપાય

Updated: Sep 19th, 2022


તાજેતરમાં શ્રીલંકાના એક ઉદ્યોગપતિ કબૂલ કર્યું કે શરીર પર સફેદ ડાઘને કારણે તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર પોસ્ટ કરતા અચકાતો હતો. તેને ભય હતો કે તેના અસીલો તસવીર જોઈને તેના આરોગ્ય વિશે શંકા કરશે.

સમાજની શરમ અને લોકો શું કહેશે તેવા ભયે સફેદ ડાઘના ઘણા દરદીઓ એકલવાયું જીવન જીવવા મજબૂર થઈ જાય છે. નિષ્ણાંતોએ આ ત્વચાના રોગ પર પ્રકાશ પાથર્યો છે અને સમાજ દ્વારા તેની સ્વીકૃતિ કેટલી મહત્વની છે તેની જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે.

સફેદ ડાઘ (વિટિલિગો)ના કારણો

વિટિલિગો એક ઓટોઈમ્યુન રોગ છે જે મેલનીન નામના રંગદ્રવ્યના અભાવને કારણે થાય છે. મેલનીન રંગદ્રવ્ય મેલનોસાઈટ્સ નામના ત્વચાના કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને ત્વચાના રંગ માટે તે જવાબદાર છે. સફેદ ડાઘ, એટલે કે વિટિલિગોમાં મેલનીનના અભાવને કારણે ત્વચા અને વાળ પર સફેદ ડાઘ ઉત્પન્ન થાય છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે ૨૦ ટકા કેસ વારસાગત હોય છે. તણાવ વધારાનું પરિબળ છે જે આ સ્થિતિને વધુ વકરાવે છે.

વિટિલિગો વિશેની ગેરમાન્યતાઓ

કેટલાક લોકો માને છે કે દૂધ અને માછલી સાથે ખાવાથી સફેદ ડાઘ થાય છે. પણ આ માન્યતાનો કોઈ વૈજ્ઞાાનિક આધાર નથી. મોટાભાગના લોકો માને છે કે સફેદ ડાઘનો કોઈ ઈલાજ નથી. પણ હકીકત એ છે કે સમયસર સારવાર શરૂ થવાથી લગભગ સંપૂર્ણ ઈલાજ શક્ય છે. પણ ડોકટરોના મતે એમાંથી છૂટકારો મેળવવા લાંબા ગાળા સુધી સારવાર લેવી જરૂરી છે.

વિટિલિગોથી પીડાતા દરદીઓ સામે પડકારો

વિટિલિગો આમ તો સૌંદર્યલક્ષી સ્થિતિ છે, પણ વિટિલિગો ધરાવતા લોકોએ વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સફેદ ડાઘ ધરાવતા લોકોને હાઈપોથાઈરોડીઝમ, ડાયાબીટીસ, પર્નિશિયસ એનિમિયા જેવી અન્ય ઓટોઈમ્યુન બીમારી થવાના જોખમ વધુ રહે છે. ઉપરાંત તેઓ પોતાના દેખાવ વિશે શરમ અને ક્ષોભ અનુભવતા હોય છે. સમાજ જો આવી વ્યક્તિ સાથે સામાન્ય વર્તાવ કરે તો તેની ઘણી સમસ્યા હળવી થઈ શકે છે.

વિટિલિગો ધરાવતી વ્યક્તિઓને મનોચિકિત્સકો સલાહ આપે છે કે લોકો શું કહે છે કે વિચારે છે તેની અવગણના કરીને પોતાના પર ધ્યાન આપવું.  તમે જેવા છો તેવા સ્વીકાર કરવાનું અઘરું છે પણ એકવાર એવું કર્યા પછી તમારા વિકાસને કોઈ રોકી નહિ શકે. તમારે કોઈની માન્યતાની જરૂર નથી એ નક્કી કરી લ્યો. 

સમાજમાં સુંદરતાની અલગ વ્યાખ્યા હશે પણ તમારે તેની અવગણના કરવાની છે અને તમારી પોતાની વ્યાખ્યા નક્કી કરવાની છે. તમારા અનુભવોમાંથી બોધપાઠ લઈને આગળ વધો. તમારા દેખાવને કારણે તમારે ઘણું સાંભળવું અને ભોગવવું પડશે પણ તમામ બાબતોની અવગણના કરીને વિશ્વને દેખાડો કે તમે તેમનાથી અલગ નથી.

એક વિખ્યાત મોડેલ વિટિલિગો વિશે પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે હોસ્પિટલમાં મેડિકલ ઈમરજન્સી માટે દાખલ થઈ હતી ત્યારે પહેલી વાર તેને મેકઅપ વિના અજુગતુ લાગ્યું. ત્યારે તેણે પોતાની સ્થિતિને સ્વીકારવાનું શરૂ કર્યું. તેણે વિટિલિગો વિશે જાગૃકતા ફેલાવવાનું નક્કી કર્યું. એના માટે તેણે મેકઅપ છોડી દીધો અને આવી જ સ્થિતિમાં મોડેલિંગ કરવાનું નક્કી કર્યું.

- ઉમેશ ઠક્કર

Gujarat