પગના તળિયાને સ્વચ્છ-સુંવાળા રાખવાના ઉપાયો
Updated: Sep 26th, 2022
- બ્યુટિ ટિપ્સ
પગના તળિયાનું શરીરમાં બહુ મહત્વ છે. તળિયા પર એક ગાદી જેવો માંસનો ભાગ હોય છે, જેના પર અનેક છિદ્રો હોય છે. આ છિદ્રોનો આકાર ત્વચાના રોમ છિદ્રો કરતા મોટો હોય છે. જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે શરીરનું સંપૂર્ણ દબાણ આ ગાદી પર પડતુ ંહોય છે. પરિણામે રોમ છિદ્રો ફેલાય છે.
આ રોમ છિદ્રોના માધ્યમથી જ ઓક્સિજન શરીરમાં આવે છે અને ગાદીમાં થતા પરસેવા દ્વારા શરીરમાંનું ઝેર બહાર નીકળે છે. તેથી શરીર તેમજ ચહેરાની સાથેસાથે પગના તળિયાની સ્વચ્છતા અને માલિશ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે.
રાતના સૂતા પહેલા તળિયાની સફાઇ બરાબર કરવી અને ૩ મિનીટ સુધી ગરમ અને એક મિનિટ ઠંડા પાણીનો શેક ત્રણ વખત કરવો,
તળિયાની નિયમિત માલિશ કરવું, માલિશ માટે વેસલિન અથવા ચંદનનું તેલ લેવું. તેમજ બાળકો અને રૂક્ષ અને કઠોર ત્વચા માટે જૈતૂન અને મોગરાનુ તેલ ભેળવીને માલિશ કરવું. આ ઉપરાંત ચીરા પડેલી અને ફાટેલી એડીની ત્વચા પર સરસવનું તેલ, વેસલિન અને લીંબુનું મિશ્રણ બનાવી તેનાથી માલિશ કરવું.
જેમના તળિયામાં સ્પંજ ઓછું થઇ ગયું હોય, ખેંચાણ આવતું હોય અને એડીમાંથી રક્ત નીકળતું હોય તેમણે શંખપુષ્પી અનેકોપરેલ મેળવીને માલિશ કરવું.
સવારના સ્નાન કરતી વખતે તળિયાને હળવેથી રગડીને સાફ કરવા અને સ્નાન પછી સરસવ તેલ લગાડવું.
ઊંચી એડીના ચપ્પલ, સેન્ડલ પહેરવાથી રક્ત પ્રવાહ અસામાન્ય થઇ જતો હોય છે, તેથી શક્ય હોય તેટલો ઓછો ઉપયોગ કરવો.
નિયમિત ૧૫-૨૦ મિનીટ લીલાછમ ઘાસમાં ઉઘાડા પગે અથવા હળવી ભીની માટીમાં અવશ્ય ચાલવું.
બરફના ટુકડાથી વધારો ચહેરાનો ગ્લો
બરફનો ઉપયોગ સામાન્ય રીતે ઠંડુ બનાવા માટે કરવામાં આવતો હોય છે, પરંતુ તે સાથેસાથે ત્વચાની કાળજી માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. બરફને ચહેરા પર માત્ર બે મિનિટ લગાડવાથી ચહેરાની ઘણી તકલીફોને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
બરફનો ટુકડો વધુ ઠંડો હોવાથી તેને સીધો જ ચહેરા પર લગાડવો નહીં. પરંતુ તેને સ્વચ્છ સુતરાઉના કટકા, પોલીથિ અથવા મલમલના ટુકડામાં લપેટીને ઉપયોગમાં લેવો. ઉપરાંત બરફને ચહેરા પર ૩૦ સેકન્ડથી વધુ ઉપયોગ કરવો નહીં.
આંખની આસપાસની કરચલીઓને દૂર કરે છે
આંખની આસપાસની કરચલીને દૂર કરવા માટે બરફનો એક નાનો ટુકડો ઉત્તમ ઉપાય સાબિત થયો છે. એલોવેરાનો આઇસ ક્યુબ બનાવી તેને ચહેરા પર ફક્ત ૧૫ સેકન્ડ સુધી હળવા હાથે ફેરવવો. નિયમિત કરવાથી ફાયદો થાય છે. ઠંડી ઋતુમાં દિવસમાં ૧૨ થી ૨ કલાકની વચ્ચે જ કરવું,જેથી ચહેરા પર વધુ પડતી ઠંડી લાગે નહીં.
આંખનો થાક ઊતારે
સતત કોમ્પયુટર પર લાંબા સમય સુધી કામ કરવાથી આંખ થાકી જાય એ સામાન્ય છે. તેવામાં ગુલાબજળયુક્ત બરફનો ટુકડો રામબાણ ઇલાજ સાબિત થાય છે. ગુલાબજળને આઇસ ટ્રેમાં મુકી બરફ જમાવવો. આ ક્યુબને આંખની આસપાસ લગાડવાથી આંખને આરામ મળે છે.
આંખની આસપાસના કાળા કુંડાળા દૂર કરે
બટાકાનો રસ, કોફી પાવડર અથવા ચોકલેટ પાવડરયુક્ત આઇસક્યુબ આંખની આસપાસના ડાર્ક સર્કલ પર ફેરવવી. નિયમિત કરવાથી ફાયદો થાય છે.
ચહેરા પરના રોમ છિદ્રોની સમસ્યા દૂર કરે
ચહેરા પરના રોમછિદ્રો બંધ થઇ જવાથી ખીલ થવાની સમસ્યા ઊદભવે છે. તેવામાં કાકડી અને લીંબુનો રસ ભેળવીને આઇસક્યુબ બનાવી લેવી.ચહેરા પર આ આઇસક્યુબને ૧૫ સેકન્ડ સુધી નિયમિત ફેરવવી. જેથી ચહેરા પરના બંધ છિદ્રો ખુલે છે અને ચહેરા પર ગ્લો આવવાની સાથેસાથે ફોડલીઓ પણ નહીં થાય.
સનબર્ન
સનબર્ન પર તુલસીના રસની આઇસક્યુબથી મસાજ કરવાથી રાહત થાય છે.
- સુરેખા મહેતા