ઈશાન ખૂણો દોષયુક્ત એટલે માંદગીને આમંત્રણ!
Updated: Mar 18th, 2023
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- ઈશાન ખૂણો સૌથી હલકો હોવો જોઈએ. આ સ્થળે તમે પસ્તી, દળવાની ઘંટી, મશીનો, બૂટ સ્ટેન્ડ, કબાટ, કૂંડા રાખશો તો વાસ્તુદોષ ઉભો થશે.
વા સ્તુ એટલે ઘરમાં આનંદથી વસવું. સુખશાંતિનો અહેસાસ થવો. તંદુરસ્તી સારી રહે અને સમૃદ્ધિ પણ સાથે મળે એ માટે ઘરનું વાસ્તુ દોષરહિત હોવું જરૂરી છે. ઘરના ઈશાનખૂણા અને નૈઋત્ય ખૂણાના દોષ આબાલ-વૃદ્ધોની માંદગી લાવે છે. ઘરના બધાં ખૂણાનું મહત્વ છે પણ આ બે ખૂણાના દોષ તમને અવારનવાર તકલીફ આપશે.
ઘરનો ઈશાન ખૂણો પવિત્ર મનાય છે કારણ કે અહીં વાસ્તુ પુરૂષનું માથુ હોય છે અને તે પૂજનીય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે એટલે જ નવા ઘરમાં આપણે વાસ્તુપુરૂષની પૂજા કરી ગૃહપ્રવેશ કરીએ છીએ. વાસ્તુ પુરૂષના માથા પર ભાર ના હોવો જોઈએ.
ઈશાન ખૂણો સૌથી હલકો હોવો જોઈએ. આ સ્થળે તમે પસ્તી, દળવાની ઘંટી, મશીનો, બૂટ સ્ટેન્ડ, કબાટ, કૂંડા રાખશો તો વાસ્તુદોષ ઉભો થશે.
આ પવિત્ર ખૂણામાં તમે પૂજા રૂમ રાખી શકો છો. ટોઈલેટ, બાથરૂમ અહીં હાનિકારક રહેશે.
આ ખૂણો કપાયેલો, દબાયેલો કે ગોળ હોવો ના જોઈએ. આ ખૂણો શિવનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે અહીં જળની હાજરી લાભકારક નીવડે છે. આ ખૂણાના દોષથી તબીબી અને નાણાંકીય મુશ્કેલી સર્જતી રહે છે. અવાર નવાર માંદગી આવે છે અથવા માંદગી દૂર થતા વાર લાગે છે.
ઈશાનનું પ્રતિનિધિત્વ કરનાર ગ્રહ છે ગુરૂ. અનેક ગ્રહોનો રાજા છે ગુરૂ. એની પ્રાર્થના કરવાથી પણ ઘરના સભ્યો તંદુરસ્ત રહે છે. ઈશાનનો દોષ હોય તો કોરોના જેવી માંદગી ફરી દેખા દે છે એટલે એ દોષ કોઈ અનુભવી અને પ્રમાણિત વાસ્તુશાસ્ત્રી પાસે દૂર કરાવવો. નિષ્ણાત વાસ્તુશાસ્ત્રી વિવિધ ઘટકોનું પુનઃ સ્થાપન કરી ઘરને વાસ્તુ ફ્રેન્ડલી બનાવી દેશે. સમય નાજુક છે. ધરતીકંપ, કોવિડ, આર્થિક મંદી જિંદગીને પડકારરૂપ બની રહ્યા છે એટલે ઘરને વાસ્તુ ફ્રેન્ડલી બનાવી સુખી-સમૃદ્ધ રહો.