Get The App

મેડમ બ્લાવેત્સ્કીની ગૂઢ શક્તિઓ .

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
મેડમ બ્લાવેત્સ્કીની ગૂઢ શક્તિઓ                                . 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- હેલેના બ્લેવેત્સ્કીમાં બાળપણથી જ મનની શક્તિઓ અને પારલૌકિક જ્ઞાાનનો વિકાસ થવા લાગ્યો હતો અને તેને લગતા અનુભવો પણ થતાં હતાં

થિયોસોફિકલ સોસાયટીના સંસ્થાપક મેડમ હેલેના પેટ્રોવના બ્લાવેત્સ્કી (Helena Petrovna Blavatsky)  એક રશિયન રહસ્યવાદી લેખિકા અને આધ્યાત્મિક મહિલા હતાં. મેડમ બ્લાવેત્સ્કીએ ૧૮૭૫માં હેનરી સ્લીટન ઓલકોટ સાથે મળીને થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી હતી જે એક રહસ્યવાદી (mystical, occult)  દર્શન છે. તેમણે ભારતીય ધર્મ અને દર્શન, વિશેષ રૂપે હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને ગંભીરતાથી સમજવામાં અભિરુચિ દર્શાવી હતી. એમના થિયોસોફીના શિક્ષણે ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં પશ્ચિમમાં એક દ્રઢ પ્રભાવ ઉત્પન્ન કર્યો અને થિયોસોફિકલ સોસાયટીએ વૈશ્વિક સ્તરે અનેક શાખાઓ પ્રસ્થાપિત કરી. મેડમ બ્લાવેત્સ્કીએ અનેક મહત્વપૂર્ણ પુસ્તકો લખ્યાં હતા એમાં ધ સિક્રેટ ડોક્ટ્રિન (The Secret Doctrine) અને ઈસિસ અનેવેઈલ્ડ (Isis Unveiled) નો સમાવેશ થયેલ છે.

હેલેના બ્લાવેત્સ્કી (હેલીના બ્લાવાત્સ્કી) જેમનું મૂળ નામ હેન વોન રોટેનસ્ટર્ન હતું ૧૨ ઓગસ્ટ ૧૮૩૧માં રોજ યેકાતેરિનોસ્લાવ શહેરમાં થયો હતો જે અત્યારે દ્રિપ્રો, યુક્રેનમાં આવેલું છે. એમના પિતા કર્નલ પીટર વાનહાન રશિયન સૈન્યના એક પ્રતિષ્ઠિત ઉચ્ચ અધિકારી હતા અને તેમની માતા હેલેના આંદ્રેયેવના સુવિખ્યાત નવલકથાકાર હતી જે હેન વોન અગિયાર વર્ષની હતી ત્યારે જ મરણ પામી ગઈ હતી. એટલે તે બાળપણમાં તેના નાના પ્રિવી કાઉંસિલર આદ્રે-ડિ-ફાદેયેવ અને નાની રાજકુમારી હેલેના પાવલોવના ડોલગોરુકોવની દેખરેખ હેઠળ ઉછરી હતી. સારતોવ અને તિફિલસ (કાકેરાસ)માં તેણે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

હેલેના બ્લેવેત્સ્કીમાં બાળપણથી જ મનની શક્તિઓ અને પારલૌકિક જ્ઞાાનનો વિકાસ થવા લાગ્યો હતો અને તેને લગતા અનુભવો પણ થતાં હતાં. તે ક્યારેક હવેલી જેવા ઘરની કોરીડોરમાં સતત આંટા માર્યા કરતાં તો ક્યારેક કલાકો સુધી કોઈ અદ્રશ્ય વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરતાં હોય એમ બોલ્યા કરતાં. જો કે બીજા કોઈને તે કોની સાથે વાતચીત કરે છે તે દેખાતું નહીં, છતાં ત્યાં કોઈ હાજર તો છે એમ સ્પષ્ટ પ્રતીત થતું. ઘરમાં કોઈ પારલૌકિક સત્તા, આત્માઓની અવરજવર થાય છે એવા પુરાવા મળતા. ઘણીવાર એમના ઘરના મુખ્ય દ્વાર પર ટકોરા પડતા. બારણું ખોલે તો બહાર કોઈ ના મળે ! ઘરના ટેબલ પરની વસ્તુઓ આપમેળે આઘીપાછી થતી અને ટેબલ પરથી નીચે પડી જતી. કેટલીક વાર ગેબી, ભેદી અવાજો સંભળાતા. હેલેના પેટ્રોવનાની આસપાસ કોઈને કોઈ વિચિત્ર ઘટના બનતી એટલે એમની સારસંભાળ લેનાર ગવર્નેસો, નર્સો અને નોકરો થોડા ગભરાતા પણ ખરા. જ્યારે તેમની ખ્રિસ્તિ ધર્મપ્રવેશ સંસ્કારની વિધિ (મ્ચૅૌજસ) થઈ રહી હતી ત્યારે આગ લાગતાં પાદરીનો ઝભ્ભો સળગી ગયો હતો અને તેમનું શરીર દાઝી ગયું હતું.

મેડમ બ્લેવેત્સ્કી સાત મહાન આત્મા (પ્રેતાત્મા)નું માધ્યમ (medium) બન્યા હતાં ! તેમાં ફૂટ હૂનિ અને મહાત્મા મૌર્યનો આત્મા પણ સામેલ હતો. મેડમ બ્લાવેત્સ્કી કહેતા હતા કે એ સાતેય આત્માઓ એમને માર્ગદર્શન આપતા અને અનેક રીતે મદદ પણ કરતા હતા. મેડમ બ્લાવેત્સ્કીને સચોટ પૂર્વાભાસ થતો અને ભવિષ્યમાં થનારી ઘટનાઓનું પૂર્વદર્શન થઈ જતું. તેમનામાં કલેરવોયન્સ-અતીન્દ્રિય જ્ઞાાન શક્તિની અદ્ભુત ચૈતસિક શક્તિ હતી. જે લોકો તેમને મળવા આવે તેમને તે તેમના જીવનમાં બનનારી ઘટનાઓ વિશે કહી દેતા જે પાછળથી બિલકુલ એ જ રીતે બનતી. કેટલાક તેમને બાળ ભવિષ્યવેત્તા પણ કહેતા.

૧૮૪૯માં હેલેનાએ એમના કરતાં મોટી ઉંમરના સરકારી ઉચ્ચ અધિકારી નિકીફોર બ્લાવેત્સ્કી સાથે અઢાર વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા. તે વખતથી તેમના નામની પાછળ બ્લાવેત્સ્કી અટક લાગવા માંડી હતી. જો કે કેવળ શારીરિક સુખ પર આધારિત એ દાંપત્યજીવન લાંબો સમય ટક્યું નહોતું. તેમના પતિને કેવળ શારીરિક સંબંધમાં જ રસ હતો. જ્યારે આધ્યાત્મિક બાબતોમાં પણ અભિરુચિ ધરાવનાર મેડમ બ્લાવેત્સ્કી એ સંબંધનો અંત લાવી તેમના પતિને કાયમને માટે છોડીને પિતાના ઘેર પાછા આવી ગયા હતા. તે પછી તેમણે ફરી કોઈની સાથે લગ્ન કર્યા નહોતા. જો કે તેમણે પતિથી પ્રાપ્ત થયેલી અટક બ્લોવેત્સ્કી જીવનભર ધારણ કરી રાખી હતી.

મેડમ બ્લાવેત્સ્કી ચાર વાર ભારત આવ્યા હતા. બે વાર તિબેટ આવ્યા હતા અને જાપાન અને અમેરિકા પણ ગયા હતા. તે અમેરિકા ગયા ત્યારે લોકો એમની ચૈતસિક શક્તિથી આકર્ષાયા હતા. તેમણે ત્યાંના અનેક સ્થળોએ જાહેર કાર્યક્રમોમાં તેમની ચૈતસિક શક્તિનું નિદર્શન કર્યું હતું. સભાખંડમાં તે એપોર્ટ દ્વારા જુદી જુદી વસ્તુઓ હવામાંથી પ્રગટ કરતા. અદ્રશ્ય રીતે બધા પર પુષ્પવૃષ્ટિ કરતા. કલેરવોયન્સની શક્તિથી ખોવાયેલ વ્યક્તિ કે વસ્તુ ક્યાં છે તે જણાવતા જે પાછળથી ત્યાંથી મળી આવતી. પ્રેતાત્મા આહવાન બેઠક (Seance) ગોઠવી પ્રેક્ષકોના મૃત સગા-સંબંધીઓના આત્મા (પ્રેતાત્મા) સાથે સંબંધ સ્થાપી તેમના તરફથી અપાતા સંદેશાઓ તેમને જણાવતા. એક બળવાન, શ્રેષ્ઠ માધ્યમ તરીકે અનેક પ્રેતાત્માઓ તેમના થકી પ્રકટ થતા અને તે જે કામ સોંપે તે પણ કરી આપતા.

અમેરિકામાં મેડમ બ્લેવેત્સ્કીને કર્નલ હેનરી એસ. ઓલકોટ્ટનો પરિચય થયો. તે બન્ને એકસરખી આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા હતા એટલે તેમણે ઘણા સંશોધનો સંયુક્ત રીતે કર્યા. મેડમ બ્લાવેત્સ્કીએ કર્નલ ઓલકોટ્ટને પ્રેતાત્માઓનો પરચો પણ કરાવ્યો હતો. એકવાર ઓલકોટ્ટ એમને મળવા ગયા ત્યારે તે સિલાઇકામ કરી રહ્યા હતા. તે વખતે એક પ્રેતાત્મા સાથે તેમનો સંપર્ક સધાયેલો હતો. 

કર્નલે બ્લાવેત્સ્કીને કહ્યું - 'તમે અત્યારે જે સિલાઈકામ કરી રહ્યા છો તે પૂરું કરવાનું એ પ્રેતાત્માને જ સોંપી દો ને !' તેમણે પ્રેતાત્માની હાજરી અને તેના વડે કરાતી અદ્રશ્ય કામગિરી સાબિત કરવા તેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. મેડમ બ્લાવેત્સ્કીએ કપડાંના જે ટુકડા સિવવા માટે રાખ્યાં હતા તે કબાટમાં મૂકી દીધા. ઓલકોટ્ટને એ કબાટની પૂરી ચકાસણી કરવાનું કહ્યું. કબાટમાં એક પણ સિવેલું વસ્ત્ર નહોતું. માત્ર સિવવા માટે જે કલોથ પીસ મૂકેલા એ જ હતા. મેડમ બ્લાવેત્સ્કીએ પેલા પ્રેતાત્માને ક્યા કલોથપીસમાંથી શું સિવવાનું છે તેની સૂચના આપી. પછી કર્નલ ઓલકોટ્ટના હાથે કબાટને તાળું વસાવી દીધું. ત્યાર બાદ તે તેમની સાથે આધ્યાત્મિક અને અકલ્ટ સાયન્સની વાતો કરવા લાગ્યા. ઓલકોટ્ટે નોંધ્યું કે તે વખત બ્લાવેત્સ્કી ઘરમાં એકલા જ હતા અને તે તેમની જગ્યાએથી કબાટમાં કલોથપીસ મૂક્યા બાદ ઊભા થયા નહોતા અને તે કબાટ તેમની આંખોની સામે જ હતું. એક કલાક બાદ કર્નલ ઓલકોટ્ટે કબાટનું તાળું ખોલી કબાટ ઉઘાડીને જોયું તો પેલા પ્રેતાત્માને જે સૂચના આપી હતી તે પ્રમાણે તે કલોથપીસોમાંથી કપડાં સિવાઈને અંદર મૂકાઈ ગયા હતા. આ જોઈ કર્નલ ઓલકોટ્ટે પ્રેતાત્મા દ્વારા થતી અકલ્પ્ય કામગિરીનો સ્વીકાર કરી લીધો હતો.

Tags :