ડલાસમાં રહેતા ભારતીયોએ 'અન્નકૂટ' યોજી નૂતનવર્ષના પરંપરાગત રીતે વધામણાં કર્યા
Updated: Nov 18th, 2022
ટેક્સસ, 18 નવેમ્બર, 2022, શુક્રવાર
સદીઓથી કેટલાક કારણોસર લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને જાય છે. ત્યારે માત્ર લોકો જ નહીં, તેમની સાથે તેમની સંસ્કૃતિ પણ સ્થળાંતર કરી વિવિધ જગ્યાઓની સફર કરે છે. વર્ષો પહેલા પશ્ચિમી દેશોમાંથી જ્યારે અંગ્રેજો, પૂર્તગાલીઓ અને ફ્રેન્ચ લોકો ભારત આવ્યા, ત્યારે તેમની સંસ્કૃતિનો ભારતીયો પર પ્રભાવ પડ્યો હતો. આજે ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ મોટા પ્રમાણમાં વિદેશમાં સ્થળાંતર કરીને ગયા છે. તેમની સાથે ભારતીય સંસ્કૃતિ પણ સ્થળાંતર કરી પશ્ચિમી દેશોમાં પહોંચી છે. જેના લીધે વિદેશમાં પણ ભારતના વિવિધ સંપ્રદાયોના મંદિરો બન્યા છે. જ્યાં કેટલીક વાર ભારતીયો મળીને ભારતીય તહેવારોની ઉજવણી કરે છે.
દિવાળીના બીજા દિવસે ગુજરાતી નૂતન વર્ષ મનાવવામાં આવે છે. તે દિવસે લોકો સવારે તૈયાર થઈને મંદિરે જઈ, ભગવાનના આશીર્વાદ લઇ નવા વર્ષની શરૂઆત કરે છે. ત્યારે વિદેશમાં રહેતા ભારતીયોએ વિદેશમાં પણ આ પરંપરાને જાળવી રાખી છે. શ્રીકૃષ્ણના સમયથી નૂતન વર્ષના દિવસે અન્નકૂટ યોજી ભગવાનને 56 ભોગ ધરવાની પરંપરા છે. ગોકુળથી શરૂ થયેલા અન્નકૂટની પરંપરા અમેરિકા સુધી પહોંચી ગઈ છે. અમેરિકાના ટેક્સેસ રાજ્યમાં આવેલ ડલાસ મંડળે નૂતન વર્ષના વધામણા કરવા અનુપમ મિશનના પ્રેરક સંત ભગવંત સાહેબજી મહારાજની કૃપા અને પ્રેરણાથી નૂતન વર્ષના દિવસે સંપ, સદભાવ અને એકતાથી ભગવાનને અન્નકૂટ ધર્યો હતો. આ ઉત્સવમાં માત્ર વડીલો જ નહીં પરંતુ, યુવાનો અને બાળકો પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને પરંપરાગત રીતે ઉજવણી કરી પોતાની સંસ્કૃતિની સોડમ માણી હતી.
નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ. આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.
સંપર્ક: gsns.global@gmail.com
Mo.No. +91-8799236060