For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીન-પાકિસ્તાન પર અવકાશી નજર રાખવાના મિશનમાં નિષ્ફળતા

Updated: Aug 13th, 2021

Article Content Image

- GSLV-F10/EOS-03 રોકેટના ત્રીજા તબક્કામાં ક્રાયોજેનિક એન્જિનમાં ખામી સર્જાતા ઉપગ્રહ કક્ષામાં સ્થાપિત ન થઇ શક્યો

- જો EOS-03 સેટેલાઇટ સફળ રીતે ભ્રમણકક્ષામાં સ્થાપિત થઇ ગયો હોત તો કુદરતી આફતો ત્રાટકે એ પહેલા જ તેના વિશે આગોતરી જાણકારી મેળવવામાં મદદ મળી શકી હોત, એટલું જ નહીં, તેના દ્વારા ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદોની તસવીરો પણ મેળવી શકાઇ હોત

ભારતના અંતરિક્ષ કાર્યક્રમને મોટો ઝાટકો લાગ્યો છે. ઇસરોનું મહત્ત્વાકાંક્ષી જિયો ઇમેજિંગ સેટેલાઇટને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાનું મિશન નિષ્ફળ નીવડયું. GSLV-F10/EOS-03 રોકેટના ત્રીજા તબક્કામાં ક્રાયોજેનિક એન્જિનમાં ખામી સર્જાતા ઉપગ્રહ કક્ષામાં સ્થાપિત ન થઇ શક્યો. જીએસએલવી રોકેટ સેટેલાઇટ સાથે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ગુરુવારે સવાલે ૫ઃ૪૩ વાગ્યે લૉન્ચ થયું હતું. ૫૭.૧૦ મીટર લાંબા અને ૪૧૬ ટનના જીએસએલવી રોકેટ શરૂઆતની પાંચ મિનિટ તો યોજનાબદ્ધ રીતે ચાલ્યું પરંતુ છ મિનિટ બાદ ત્રીજા સ્ટેજ એટલે કે ક્રાયોજેનિક એન્જિનમાં ખામી સર્જાતા ડેટા આવતો બંધ થઇ ગયો ત્યારે મિશન સેન્ટરના અધિકારીઓને કંઇક ગડબડ હોવાનો ધ્રાસકો પડયો. આમ તો આ લૉન્ચિંગ અગાઉ એપ્રિલ અથવા મે મહિનામાં યોજાવાનું હતું પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે એ સ્થગિત કરવું પડયું હતું. 

ઇસરોના આ મિશનની નિષ્ફળતાથી દેશમાં નિરાશાનો માહોલ છે પરંતુ ભારતની અવકાશ સંસ્થાએ જે પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે એ જોતાં આગામી સમયમાં આ મિશન સફળ નીવડશે એમાં શંકાને સ્થાન નથી. અવકાશ તરફ માનવીની દોટ પહેલેથી રોમાંચક રહી છે. ૧૯૫૭માં સોવિયેત સંઘે માત્ર ૫૯ સેમીના પહેલાવહેલા સેટેલાઇટ સ્પુટનિક-૧ને અવકાશમાં તરતો મૂકીને દુનિયાભરમાં સનસનાટી ફેલાવી દીધી હતી. અંતરિક્ષમાં જઇને આ સેટેલાઇટે પૃથ્વી પર સિગ્નલો મોકલવાની શરૂઆત કરી ત્યારે દુનિયાભરમાં રોમાંચ વ્યાપી ગયો હતો. આ રોમાંચ ભારતમાં પણ અનુભવાયો અને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિખ્યાત વિજ્ઞાાની હોમી જહાંગીર ભાભા સાથે મંત્રણા કરીને ૧૯૬૧માં ભારતીય અંતરિક્ષ વિભાગની સ્થાપના કરી. ૧૯૬૯માં અમેરિકાએ જ્યારે સૌપ્રથમ સમાનવ અવકાશયાન ચંદ્ર ઉપર મોકલ્યં  અને નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલું ડગ માંડયું એ જ વર્ષે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અર્થાત ઇસરોની સ્થાપના થઇ. 

આશરે ૪૩ વર્ષ પહેલા ઇસરોનિર્મિત પહેલા ઉપગ્રહ આર્યભટ્ટને અવકાશમાં તરતો મૂકવાની સાથે ભારતની અવકાશ ગાથા શરૂ થઇ હતી. ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના દિવસે લોન્ચ થયેલા આર્યભટ્ટ સાથે અંતરિક્ષને જોવા અને જાણવાની ભારતની જિજ્ઞાાસાનો પ્રારંભ થયો. આજે વિશ્વના અનેક દેશોને સસ્તી લોન્ચિંગ સેવા પૂરી પાડતા ઇસરો પાસે એ વખતે ઉપગ્રહને અવકાશમાં મોકલી શકે એવું શક્તિશાળી રોકેટ નહોતું. જેના પરિણામે આર્યભટ્ટને અવકાશમાં તરતો મૂકવા મિત્ર રાષ્ટ્ર રશિયાની મદદ લેવામાં આવી હતી. ભારત અને સોવિયેત સંઘ વચ્ચે ૧૯૭૨માં થયેલા એક કરાર મુજબ આર્યભટ્ટને કાપુસ્તિન યાર ખાતેથી કોસ્મોવ-૩એચ રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યો.

સાવ ટાંચા સાધનો સાથે શરૂ થયેલું ઇસરો આજે દુનિયાની ટોપ ફાઇવ સ્પેસ એજન્સીઓમાં સ્થાન ધરાવે છે. અમેરિકા અને રશિયા પછીની સૌથી આશાસ્પદ અવકાશી સંસ્થા તરીકે ઇસરોની ગણતરી થાય છે. એકવીસમી સદીમાં દુનિયાની બાકીની સ્પેસ એજન્સીઓની સરખામણીમાં ઇસરોએ સૌથી મોટી હરણફાળ ભરી છે. ૨૦૧૮ના વર્ષની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરતા ઇસરોએ જાન્યુઆરીમાં એક સાથે ૩૧ ઉપગ્રહો લોન્ચ કર્યાં હતાં. ગયા વર્ષે એક સાથે ૧૦૪ સેટેલાઇટ એક સાથે અવકાશમાં લોન્ચ કરતાની સાથે ઇસરો દુનિયાની સૌથી ભરોસાપાત્ર સેટેલાઇટ લોન્ચર સંસ્થા બની છે. એ અગાઉ ૨૦૦૮માં ઇસરોએ ચંદ્રયાન-૧ ચંદ્રની મુલાકાતે મોકલ્યું હતું. ચંદ્રયાન-૧ દ્વારા જ દુનિયાને જાણ થઇ કે ચંદ્રની સપાટી નીચે પાણી રહેલું છે. 

એ પછી ૨૦૧૪માં રાતા ગ્રહની ભાળ મેળવવા રવાના કરવામાં આવેલા મંગળયાન-૧ મિશનની સફળતાએ તો દુનિયાભરના દેશોની ભારત પ્રત્યેની દૃષ્ટિ જ બદલી નાખી. ખાસ વાત એ હતી કે ઇસરોએ મંગળ યાનને છ મહિનાના મિશન પર મોકલ્યું હતું પરંતુ આજે ત્રણ વર્ષ પછી પણ તે સારી અવસ્થામાં છે અને વૈજ્ઞાાનિકોને લગાતાર મંગળ ગ્રહની તસવીરો અને ડેટા મોકલતું રહે છે. ઇસરોના વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર મંગળ યાન હજુ પણ આવતા આઠ-દસ વર્ષ સુધી કાર્યરત રહે તેવી શક્યતા છે. 

બીજી નોંધવા જેવી બાબત એ હતી કે ઇસરોને પહેલા જ પ્રયાસે છેક મંગળ સુધી અવકાશયાન મોકલવામાં સફળતા મળી હતી. અમેરિકાએ તેનું પહેલું અંતરિક્ષયાન મંગળ સુધી પહોંચાડયુ એ પહેલા તેના ૬ મિશન નિષ્ફળ નીવડયા હતાં. તો રશિયા અને યુરોપી સંઘને પણ અનેક પ્રયાસો બાદ મંગળ સુધી પહોંચવામાં કામિયાબી મળી હતી. ઇસરોની સિધ્ધિ સમજવી હોય તો એટલું ધ્યાનમાં રાખીએ કે માર્સ ઓર્બિટર મિશન પહેલાં દુનિયાભરના દેશોએ મળીને કુલ ૫૧ મિશન મોકલ્યા હતાં જેમાંથી માત્ર ૨૧ને જ સફળતા મળી હતી. 

અવકાશ ક્ષેત્રે એક પછી એક મોટી છલાંગો લગાવી રહેવા ઇસરોની સૌથી મોટી તાકાત છે સ્વદેશી નિર્માણ. પહેલા ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ થયાની સાથે જ ઇસરોએ પોતાની ટેકનોલોજી વિકસાવવા પર સૌથી વધારે કામ કર્યું છે જે આજ દિન પર્યંત જારી છે. પછી એ રોકેટ ટેકનિક હોય, પોતાનું ક્રાયોજેનિક એન્જિન બનાવવાનું હોય કે પછી ચંદ્રયાન અને મંગળયાન જેવા મિશન હોય, ભારતીય વૈજ્ઞાાનિકોએ જાતમહેનત અને સ્વદેશી ધોરણે ઘણી ખરી કામગીરી પાર પાડી છે. 

અવકાશ યાત્રા માટે જરૂરી સાધનસરંજામ જાતે જ વિકસાવવાના કારણે ભારતના સ્પેસ મિશન ઘણાં કિફાયતી હોય છે. ઉદાહરણ લઇએ તો ગયા વર્ષે ફેબુ્રઆરીમાં ઇસરોએ પીએસએલવી-સી૩૭ રોકેટ દ્વારા એક સાથે ૧૦૪ ઉપગ્રહ અવકાશમાં તરતા મૂક્યાં એ મહાકાય મિશનનો ખર્ચ આવ્યો માત્ર ૧૫ મિલિયન ડોલર એટલે કે આશરે ૯૫ કરોડ રૂપિયા. જો આ જ કામ નાસાએ કરવાનું આવ્યું હોત તો તેને ખર્ચ થયો હોત ૬૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૬૦૦ કરોડ રૂપિયા. આજે દુનિયાની તમામ સ્પેસ એજન્સીઓમાં ભારત સૌથી સસ્તા દરે ઉપગ્રહો અવકાશમાં મોકલવાનું કામ કરે છે. આ કારણે જ અવકાશમાં ઉપગ્રહો મોકલવા માંગતા દેશોમાં ઇસરોની સેવાઓ લોકપ્રિય બની રહી છે. 

કિફાયતી દરો સાથે અવકાશી સેવા પૂરી પાડવાના કારણે ખુદની અંતરિક્ષ ક્ષમતા ધરાવતા અમેરિકા અને યુરોપ સહિતના અનેક દેશો ઇસરોની મદદ વડે પોતાના સંપેતરા અવકાશમાં પહોંચાડતા હોય છે. આ રીતે જુદા જુદાં દેશોના સેટેલાઇટ લોન્ચ કરીને ઇસરો પણ મોટી કમાણી કરી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં ઇસરોને મળેલી આ સફળતાઓને જોઇએ તો સ્પષ્ટ જણાઇ આવશે કે હળવા, મધ્યમ કે ભારે એમ તમામ પ્રકારના ઉપગ્રહો છોડવા માટે ઇસરો વૈશ્વિક કક્ષાએ ભરોસાપાત્ર એજન્સી બની ચૂકી છે. સ્પેસ ટેકનોલોજીના વૈશ્વિક બજારમાં દોઢ ટન સુધીના ઉપગ્રહને અવકાશમાં પહોંચાડવા માટે સૌથી સસ્તી અને ભરોસાપાત્ર સ્પેસ એજન્સી તરીકેનો દરજ્જો ઇસરોએ હાંસલ કર્યો છે. 

જોકે મિશનની નિષ્ફળતાથી ભારતની અનેક મહત્ત્વાકાંક્ષી યોજનાઓને ફટકો પડશે. આ મિશનનો ઉદ્દેશ નિયમિત સમયે મોટા ક્ષેત્રની વાસ્તવિક સમયે તસવીરો ખેંચવાનો, કુદરતી આફતો ઉપર ચાંપતી નજર રાખવી, કૃષિ, વનીકરણ, જલસંસાધનો અને આફતોની ચેતવણી આપવી, વાવાઝોડા પર નજર રાખવી, વાદળ ફાટવા જેવી આફતો પર જાણકારી હાંસલ કરવાનો હતો. જો EOS-03 સેટેલાઇટ સફળ રીતે ભ્રમણકક્ષામાં સ્થાપિત થઇ ગયો હોત તો તેના દ્વારા ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદોની તસવીરો પણ મેળવી શકાઇ હોત. એટલા માટે આ સેટેલાઇટને આઇ ઇન ધ સ્કાય એટલે કે આસમાની આંખ પણ ગણાવવામાં આવતો હતો.  

આગામી સમયમાં ઇસરો ભારતની ધરતી ઉપરથી કોઇ ભારતીય એસ્ટ્રોનોટને અવકાશમાં મોકલવા ધારે છે. માનવને અવકાશમાં મોકલવાની દિશામાં એક સાથે જુદાં જુદાં મોરચે કામ થઇ રહ્યું છે. ઇસરો નાના નાના પગલાં ભરીને અવકાશયાત્રાને લગતી સૂક્ષ્મ ટેકનિકો વિકસાવવામાં લાગ્યું છે. માનવીને અવકાશમાં મોકલવા માટે ભારત સરકાર લીલી ઝંડી દેખાડે ત્યાં સુધીમાં ઇસરો પોતાની તૈયારીઓ પૂરી કરી લેવા માંગે છે. એકવીસમી સદીમાં અવકાશને લગતા સંશોધનો હવે નવા યુગમાં પ્રવેશ કરી રહ્યાં છે. 

આવનારા સમયમાં સેટેલાઇટ લોન્ચિંગ જ નહીં પરંતુ સમાનવ અવકાશયાત્રા યોજવા માટે સ્પેસ એજન્સીઓ તૈયાર થઇ રહી છે ત્યારે ઇસરોએ પણ એ દિશામાં પ્રગતિ કરવાની શરૂઆત કરી છે. આપણા માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે ઇસરોએ સ્વદેશી ટેકનિક અને પ્રતિભાના જોરે દુનિયાભરમાં નામના મેળવી છે. લોન્ચિંગ કે નવી યોજનાઓની ગુંચવણોને આપણા વૈજ્ઞાનિકો પોતાના મૌલિક અંદાજથી ઉકેલતા આવ્યાં છે. વર્તમાન મિશનમાં મળેલી નિષ્ફળતા પણ ઇસરોના વૈજ્ઞાાનિકો વહેલી તકે સફળતામાં પલટાવી નાખશે એમાં બેમત નથી.

Gujarat