મુસ્કુરાઓ, લોકશાહીમાં તમારું સ્વાગત છેના પોસ્ટર્સ સાથે દિલ્હીમાં મમતા બેનર્જીનું સ્વાગત
- શહેરના જંતર મંતર રોડ, સહિત અનેક જગ્યાએ દીદીના સ્વાગતમાં કટાક્ષયુક્ત પોસ્ટર્સ
- વિરોધ પક્ષની રેલીમાં જોડાવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે રાજધાની દિલ્હી પહોંચ્યા હતા
Updated: Feb 13th, 2019
નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2019, બુધવાર
કેન્દ્રની મોદી સરકારના વિરોધમાં દિલ્હીના જંતર મંતર ખાતે આમ આદમી પાર્ટીએ એક રેલીનું આયોજન કર્યુ હતું જેમાં વિરોધ પક્ષના અનેક નેતાઓ પણ જોડાયા હતા. આપ દ્વારા યોજાયેલી લોકતંત્ર બચાવો સત્યાગ્રહની રેલીમાં ભાગ લેવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે રાજધાની દિલ્હી પહોંચ્યા હતા.
દીદીના સ્વાગત માટે શહેરના અનેક ઠેકાણ હિન્દી અને અંગ્રેજીમાં કટાક્ષયુકત પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. દીદી ગુસ્સામાં હોય તેવા કાર્ટુન સાથે લખવામાં આવ્યું હતું કે દીદી અહીં તમને જનતાને સંબોધિત કરતા કોઈ નહીં રોકે. સાથે જ અન્ય એક પોસ્ટરમાં દીદીને તમે લોકતંત્રમાં છો માટે ખુલીને હસો તેવું સૂચવવામાં આવ્યુ હતું. અન્ય એક પોસ્ટરમાં દિલ્હીમાં દીદી તમારું સ્વાગત છે અને દિલ્હીમાં લોકતંત્ર જીવીત હોવાનું કહ્યુ હતું.
કોલકાતા બાદ હવે દિલ્હીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વિરોધમાં શક્તિ પ્રદર્શન યોજાયુ હતું જેમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ઉપરાંત કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ભાજપના અનેક નેતાઓને રેલી કાઢતા રોક્યા હતા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી નહોતી આપી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની રથયાત્રાને પણ રોકી હતી. આ ઘટનાઓને ભાજપે પશ્ચિમ બંગાળમાં લોકતંત્રની હત્યા સમાન ગણાવી હતી અને તેને અનુસંધાને કટાક્ષયુક્ત પોસ્ટર્સ દ્વારા મમતા બેનર્જીનું દિલ્હીમાં સ્વાગત કરાયુ હતું.