આપણે ગભરાવાની જરુર નથી, ચીન આપણી સાથે છેઃ મસૂદ અઝહરે ફરી ઓક્યુ ઝેર
Updated: Feb 21st, 2019
નવી દિલ્હી,તા.21.ફેબ્રુઆરી 2019,ગુરુવાર
જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમલાની જવાબદારી લેનારા જૈશ એ મહોમ્મદના આતંકી સરગણા મસૂદ અઝહરે ફરી એક વખત પોતાની હલકટ માનસિકતા છતી કરીને ભારત સામે ઝેર ઓકતી ઓડિયો ક્લિપ બહાર પાડી છે.
જોકે આશ્ચર્યની વાત એ છે કે આ ક્લિપમાં તે કહી રહ્યો છે કે પુલવામા હુમલામાં જૈશની કોઈ ભૂમિકા નથી અને આત્મઘાતી હુમલાખોર આદિલ દારને હું મળ્યો પણ નથી.જોકે મને થાય છે કે કાશ હું તેને મળ્યો હતો.આદિલના કારણે જો મને મોત પણ મળે તો તેનો અફસોસ નહી હોય.
એક તરફ અમેરિકા, ફ્રાન્સ અને રશિયા જેવા દેશોએ મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંમતિ આપી છે ત્યારે મસૂદે કહ્યુ હતુ કે આપણે ડરવાની જરુર નથી.ચીન આપણી સાથે છે.પાકિસ્તાન સરકારે પણ ભારતના દબાણમાં આવવાની જરુર નથી.
મસૂદ અઝહરે તો પાકિસ્તાની મીડિયાને પણ ડરપોક જાહેર કરીને માત્ર અયાઝ નામના પાકિસ્તાની લેખકના વખાણ કર્યા હતા.આ લેખકે પોતાના લેખમાં આદિલ દારની ભરપૂર પ્રશંસા કરી હતી.