વંદે ભારત ટ્રેન શરૂ કર્યાના બીજા જ દિવસે બગડી: બે વાર બ્રેકડાઉન
Updated: Feb 16th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.16 ફેબ્રુઆરી, 2019, શનિવાર
વડા પ્રધાન મોદીએ જેને લીલી ઝંડી આપી રવાના કરી હતી તે ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી વંદે ભારત ટ્રેન તેની વળતી મુસાફરીમાં આજે અટવાઇ ગઇ હતી અને વારાણસીથી દિલ્હી પરત ફરતાં તે પાટા પર લપસી પડી હતી.
જો કે ઘટનામાં કોઇને ઇજા થઇ નહતી. ટ્રેન આજે બપોરે આશરે એક વાગે દિલ્હી પહોંચી હતી અને હવે રવિવારે તે પાછી વારાણસી જશે જેની તમામ ટિકિટો વેચાઇ ગઇ હતી.
અધિકારીઓએ કહ્યું હતું કે વ્હીલ લપસી જતાં સમસ્યા ઊભી થઇ હતી. કેટલાકે બ્રેક ખરાબ હોવાનું કહ્યું હતું. ટ્રેન-૧૮ જેને વંદે ભારત નામ અપાયું હતું તે શુક્રાવરે પ્રથમ વખતે વારાણસી પહોચ્યાની ૪૫ મિનિટ પછી ગઇ કાલે વારાણસીથી સવારે સાડા દસ વાગે નીકળી હતી.
પ્રથમ વાર ઉત્તર પ્રદેશના તુંડલા જંકશનથી આશરે ૧૫ કિમી દૂર તેમાં બ્રેકડાઉન સર્જાયો હતો.'ટ્રેનની નીચે કોઇ ઢોર આવી જતાં તેના વ્હીલ ચીકણી બની ગયા હતા.સૂત્રો અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેટલાક પત્રકારો અનુસાર, ટ્રેન શરૃ થયાના પ્રથમ કલાકમાં જ તેમાં બ્રેકડાઉન સર્જાયો હતો.
તેમણે કહ્યું હતું કે ટ્રેન થોભી તેની પહેલાં ટ્રેનના કોચ એકબીજા સાથે અથડાયા હતા.'છેલ્લા ચાર કોચમાં ગંધ આવતી હતી જેમાં પાવર હતો જ નહીં. ઉપરાંત તેમાંથી થોડો ધુમાડો પણ નીકળ્યો હતો. લોકો પાયલોટોએ થોડા સમય માટે તેની ગતી પણ ઓછી કરી નાંખી હતી.
અધિકારીઓને બ્રેકફેલ થવાની વાત કરતા સાંભળ્યા હતા'એમ આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરે કહ્યું હતું. ૮:૧૫ મિનિટે રિપેર કર્યા પછી તેને ફરી શરૃ કરાઇ હતી, પરંતુ ૮:૫૫ મિનિટે ફરી તેમાં ખામી સર્જાતા તેને ફરી રોકવી પડી હતી. ડાબેરી નેતા સિતારામ યેચુરીએ કહ્યું હતું કે આ ટ્રેન મોદી સરકારની કામગીરીનો ઉત્તમ નમુનો.