કુલગામમાં માર્યા ગયેલા ત્રણ આતંકીમાં બે પાકિસ્તાની અને એક કાશ્મીરી
- જમ્મુ કાશ્મીર પોલીસે માર્યા ગયેલા આતંકીઓની ઓળખ જાહેર કરી
- માર્યા ગયેલા આતંકીઓ અનેક નાના મોટા આતંકી હુમલામાં સામેલ, મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને હથિયારો જપ્ત
Updated: Feb 26th, 2019
શ્રીનગર, તા.25 ફેબ્રુઆરી, 2019, સોમવાર
કુલગામમાં જે ત્રણ આતંકીઓ માર્યા ગયા તેમાં બે પાકિસ્તાની હતા. જમ્મુ કાશ્મીર પોલીસે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે કુલગામના એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, જેમાં બે આતંકીઓ આ સંગઠનના ટોચના કમાન્ડર હતા અને પાકિસ્તાનથી સરહદ પાર કરીને ભારતમાં ઘુસ્યા હતા.
આ હુમલામાં એક ડીજીપી અમન ઠાકુર શહીદ થઇ ગયા હતા સાથે બે જવાનો પણ શહીદ થયા હતા. હાલ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન વધારી દેવામાં આવ્યું છે.
ઘાટીમાં હજુ પણ પાકિસ્તાનના ૩૫ સહીત ૬૦ આતંકીઓ સક્રિય છે જેની તપાસ માટે ઓપરેશન ૬૦ શરૃ કરવામાં આવ્યું છે.
જે આતંકીઓ માર્યા ગયા છે તેમના નામ રાકીબ અહેમદ શેખ (કુલગામનો રહેવાસી), જ્યારે બે પાકિસ્તાની આતંકીઓ વાલીદ અને નુમનનો સમાવેશ થાય છે. આ બન્ને આતંકીઓ અગાઉ પણ કાશ્મીરમાં નાના મોટા આતંકી હુમલામા સામેલ હતા, આ સ્થળ પરથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને અન્ય હથિયારો પણ મળી આવ્યા છે, જેમાં મોટા ભાગના પાકિસ્તાની બનાવટના હોવાનું પણ ખુલ્યું છે.