જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભૂસ્ખલનને પગલે બે એન્જિનિયરોનાં મોત
બરફવર્ષા પછી મોટા પાયે ભૂસ્ખલન
ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પરના ટ્રાફિકમાં ફરી અવરોધ
Updated: Feb 23rd, 2019
(પીટીઆઇ) જમ્મુ, તા. ૨૩
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ૧૦૦૦ મેગાવોટના પાકલ દુલ હાઇડ્રોઇલેક્ટ્રોનિક પ્રોજેક્ટનું બાંધકામ કરી રહેલ પ્રાઇવેટ કંપનીના બે એન્જિનિયરોનું ભૂસ્ખલનને કારણે મોત થયું છે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું છે.
બીજી તરફ રામબાણ જિલ્લામાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થતાં જમ્મુ-શ્રીનગર હાઇવે પરના ટ્રાફિકમાં ફરી અવરોધ ઉભો થયો હતો. ઉલ્લેખનીય છે કે બરફવર્ષાને કારણે આ હાઇવે ત્રણ દિવસ પછી આજે ખૂલ્યો હતો. હાઇવેને ક્લિયર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે.
ત્રણ દિવસ અગાઉ હિમાચલ પ્રદેશમાં હિમપ્રપાતને કારણે બરફની નીચે દટાઇ ગયેલા છ જવાનો પૈકી હજુ પણ પાંચ જવાનોને શોધી શકાયા નથી. છ પૈકી એક જવાનનો મૃતદેહ તે જ દિવસ મળી આવ્યો હતો. અન્ય પાંચ જવાનોનો અત્યાર સુધી કોઇ પત્તો નથી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ સિનિયર મિકેનિકલ એન્જિનિયર ગુરમિત સિંહ અને રેસિડન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર વિજય ગુપ્તા તરીકે કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર કિશ્તવાડથી ૪૫ કિમી દૂર આવેલા દાચન તાલુકિામાં ઇખાલા-ભાન્દારકોટ પાસે ભૂસ્ખલન થયું હતું.
બાંધકામ સ્થળથી આઠ કિમી દૂર બંને એન્જનિયરોના મૃતદેહો મળી આવ્યા હતાં. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બંને અધિકારીઓના મૃતદેહ કિશ્તવાડની જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. ત્યાંથી મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતાં.