કાશીઃ લાટભૈરવ મંદિરમાંથી ગેરકાયદેસર કબરો દૂર કરવા માગણી, વારાણસી કોર્ટમાં નોંધાયા 3 કેસ
Updated: Sep 15th, 2021
- વિશ્વ વૈદિક સનાતન સંઘની આગેવાનીમાં મંગળવારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા હરિશંકર જૈનના માર્ગદર્શનમાં 3 કેસ નોંધવામાં આવ્યા
નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર, 2021, બુધવાર
કાશી વિશ્વનાથ મંદિર પરિક્ષેત્રમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનું પુરાતાત્વિક સર્વેક્ષણ કરાવવાના નીચલી અદાલતના ચુકાદા પર હાઈકોર્ટે રોક લગાવી છે. ત્યારે હવે વારાણસીના અષ્ટભૈરવ મંદિરોમાંથી એક લાટ ભૈરવ મંદિરમાંથી ગેરકાયદેસર કબરો દૂર કરાવવાની માગણીને લઈ મંગળવારે સિવિલ જજ સીનિયર ડિવિઝનની કોર્ટમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. આગામી 21 ઓક્ટોબરના રોજ આ કેસની સુનાવણી થશે. આ તરફ કાશી વિશ્વનાથ મંદિર સાથે સંબંધિત 2 કેસને મિસલેનિયસના આધાર પર નોંધીને 16 સપ્ટેમ્બરના રોજ સુનાવણી થશે.
જ્ઞાનવાપી પરિસરમાં મંદિર હતું કે મસ્જિદ તેને લઈ અનેક દશકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. 1991થી કોર્ટમાં આ મામલે કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં જ 8 એપ્રિલ, 2021ના રોજ સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટે ASI સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. 9 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટે નીચલી અદાલતના આ નિર્ણય પર રોક લગાવતા આ મુદ્દે કોઈ પણ પ્રકારની સુનાવણી પર રોક લગાવી દીધી છે.
વારાણસીની કોર્ટમાં 8 કેસ નોંધાયા
વિશ્વ વૈદિક સનાતન સંઘની આગેવાનીમાં મંગળવારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા હરિશંકર જૈનના માર્ગદર્શનમાં 3 કેસ નોંધવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં વારાણસી કોર્ટમાં કુલ 8 કેસ દાખલ કરાયા છે. લાટ ભૈરવ મંદિર મામલે ગેરકાયદેસર કબરોને મંદિરમાંથી દૂર કરવાની માગણી કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ મંદિર સાથે સંકળાયેલા 2 કેસમાંથી એક નંદી મામલે પ્રમુખ વાદી તરીકે વારાણસીના ડોમ પરિવારના સિતેન્દ્ર ચૌધરી છે. તેમણે માગણી મુકી છે કે, વિવાદિત ઢાંચાની અંદર આદિ વિશ્વેશ્વરનું પ્રાચીન શિવલિંગ છે તેનું દર્શન પૂજન કરાવવામાં આવે.