પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને આજે અંતિમ વિદાય આપવામાં આવશે
Updated: Feb 16th, 2019
નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2019, શનિવાર
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોને આજે અંતિમ વિદાય આપવામાં આવશે. તમામ શહીદના પાર્થિવ શરીર શુક્રવારે દિલ્હી લાવવામાં આવ્યાં હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય મંત્રીઓ અને નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
ત્યાર બાદ શહીદના પાર્થિવ શરીર તેમના ઘરે મોકલવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીએ બીજેપીના તમામ મંત્રીઓ અને સાંસદોને આદેશ આપ્યો છે કે તેઓ પોતાના રાજ્યમાં આ જવાનોના અંતિમ સંસ્કાર સમયે ત્યાં હાજર રહે.
પુલવામામાં શહીદ થયેલા જવાનોમાં સૌથી વધારે જવાન ઉત્તર પ્રદેશના છે. તેમની સંખ્યા 12 છે. યુપીના આગ્રા, શામલી, ઉન્નાવ, ચંદૌલીના જવાનોના પાર્થિવ શરીર તેમના ઘરે પહોંચી ગયા છે. અહીં મોટી સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે.