ભારતના આક્રમક તેવરથી ફફડેલા પાકે શરુ કરી યુધ્ધની તૈયારીઓ
Updated: Feb 22nd, 2019
નવી દિલ્હી,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામા હુમલા બાદ મોદી સરકારે અપનાવેલા આક્રમક વલણના કારણે ફફડેલા પાકિસ્તાનને હવે ભારત ભીષણ લશ્કરી હુમલો કરશે તેવી બીક લાગી રહી છે.જેના પગલે પાકિસ્તાને હવે યુધ્ધની તૈયારીઓ શરુ કરી છે.
પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને ગુરુવારે નેશનલ સિક્યુરિટી કમિટી સાથે બેઠક કરીને પાક સેનાને ભારત તરફથી થનારા હુમલાને ધ્યાનમાં રાખીને તૈયાર રહેવાનો સંદેશ આપ્યો હતો.
પાકિસ્તાનને હવે એ હદે ડર લાગી રહયો છે કે તેણે પીઓકે અને એલઓસી આસપાસના ગામડાઓમાં લોકોને સતર્ક રહેવા માટે ચેતવણી આપી છે.પીઓકે દ્વારા સ્થાનિક તંત્રના હોસ્પિટલોને ભારત અને પાકિસ્તાન વચ્ચે વોર થાય તો તૈયાર રહેવા માટે પણ નોટિસ આપી છે.
એલઓસી સાથે જોડાયેલા નીલમ,જેલમ, રાવલકોટ, હવેલી, કોટલી જેવા ગામોને પણ તૈયાર રહેવા સૂચના અપાઈ છે અને લોકોને સુરક્ષિત જગ્યાઓ પર જતા રહેવા તથા ટોળામાં નહી ફરવા માટે પાક સરકારે કહ્યુ છે. પાક સરકારે સરહદ પરના આ ગામડાઓને બંકર તૈયાર કરવા માટે, રાતે જરુર પડે તો જ લાઈટનો ઉપયોગ કરવાની પણ સલાહ અપાઈ છે.