ગરીબનો દિકરો વડાપ્રધાન બની ગયો તે નામદારોથી સહન નથી થતું
Updated: Feb 25th, 2019
લખનૌ, તા. 25 ફેબ્રુઆરી 2019, સોમવાર
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રવિવારના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહ્યું કે 15 વર્ષથી અમેઠીના સાંસદે ક્યારેય સંસદમાં અહીંની સમસ્યા ઉઠાવી નહીં.
જે નામદારોએ અહીં 55 વર્ષ રાજ કર્યું તેમણે ક્યારેય અમેઠીના વિકાસ અને અહીંના ખેડુતો માટે વિચાર્યું નથી. દેશની મોદી અને યુપીની યોગી સરકારના પ્રયત્નોનું પરિણામ છે કે જાહેરાત કર્યાના 23 દિવસમાં ખેડુતોના સન્માન ફંડ અંતર્ગત અમેઠીના 3 લાખ 80 હજાર ખેડુતોને દર વર્ષે 6000 રૂપિયાનો લાભ મળેશે.
રાહુલ ગાંધી જે છેલ્લા 15 વર્ષથી અમેઠીના સાંસદ છે, તેમણે ક્યારે અમેઠીની સમસ્યાને સંસદમાં ઉઠાવી નથી. આવા નામદાર લોકોએ ફક્ત અમેઠીના લોકો અને ગરીબો સાથે છેતરપિંડી કરી છે જ્યારે આ જનતાના મતની તાકાત પર જ તેઓ સંસદ પહોંચતા રહ્યાં છે.
સ્મૃતિએ ગૌરીગંજના જવાહર નવોદય વિધ્યાલયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો શુભારંભ કરવતા આગામી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચંડ બહુમતી માટે અપીલ કરી હતી અને અમેઠીમાં ભાજપની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામ ગણાવ્યાં.