સત્તામાં આવ્યા તો અર્ધસૈનિક દળોને શહીદનો દરજ્જો આપીશુ: રાહુલ ગાંધી
Updated: Feb 24th, 2019
નવી દિલ્હી,તા.23.ફેબ્રુઆરી 2019, શનિવાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં વિદ્યાર્થિઓને સંબોધિત કર્યા હતા.
રાહુલ ગાંદીએ કહ્યુ હતું કે મને કેટલાક લોકો પસંદ કરશે , કેટલાક નાપસંદ કરશે પણ તમે જેમનુ સમર્થન કરો છો તેમનામાં એટલી હિંમત હોવી જોઈએ કે તમારી સામે ઉભા રહીને તમારી વાત સાંભળી શકે અને તમને ગળે લગાવી શકે.જો તેમનામાં એટલી હિંમત ના હોય તો તમારે સવાલ પૂછવો જોઈએ.
રાહુલે કહ્યુ હતુ કે પારદર્શિતા બહુ જરુરી છે.જો આરટીઈ હેઠળ રાજકીય પક્ષોને લાવવામાં આવે તો હું ઈચ્છું છું કે પ્રેસ અને ન્યાયપાલિકા પણ તેના દાયરા હેઠળ હોય અને દેશના 15-20 ઉદ્યોગપતિઓ પર પણ આ કાયદો લાગુ પડે.આજે દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર જમીન મામલામાં થાય છે.મોદી સરકારે જમીન સંપાદન કરવાના બિલને જ નબળુ પાડવાની કોશીશ કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે મારા પિતા અને મારા દાદીની હત્યા કરવામાં આવી હતી.જો કોઈ મને પૂછે તો હું કહીશ કે હિંસાને ખતમ કરવા પ્રેમની જરુર છે.મહાત્મા ગાંધી અને સમ્રાટ અશોકના જીવનનો આજ સંદેશ છે.પીએમ મોદી સંસદમાં મારા અને મારા પરિવાર માટે ગમે તેમ બોલતા હતા પણ હું તેમને જઈને ગળે મળ્યો હતો.મારી દાદીની હત્યા થઈ ત્યારે હું બહુ ગુસ્સે હતો.મારા પિતાએ આવીને મને ગળે લગાવ્યો ત્યારે મારો ગુસ્સો ઓગળી ગયો હતો.
તેમણે કહ્યુ હતુ કે યુવાઓને નોકરી મળી રહી નથી અને તેના કારણે તેમનામાં ગુસ્સો છે.કટ્ટરવાદી તત્વો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે.આપણી સ્પર્ધા ચીન સાથે છે પણ સરકાર સ્વીકારી નથી રહી કે દેશમાં બેકારીની સમસ્યા છે.જો સરકાર સ્વીકરશે નહી તો તેનો ઉકેલ નહી આવી શકે.
એક વિદ્યાર્થિનીના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે દેશમાં અર્ધલશ્કરી દળોના જવાનોને સત્તાવાર રીતે શહીદનો દરજ્જો મળતો નથી તે ખોટુ છે.જો અમારી સરકાર બનશે તો અર્ધલશ્કરી જવાનોને પણ શહીદનો દરજ્જો અપાશે.
તેમણે વધુમાં કહ્યુ હતુ કે આરએસએસની વિચારધારા સાથે સંકળાયેલા લોકોને યુનિવર્સિટીઓમાં બેસાડવામાં આવી રહ્યા છે.જેમને માત્ર પોતાની વિચારધારા સાથે મતલબ છે.વિદ્યાર્થીઓ સાથે કોઈ લેવા દેવા નથી.તેઓ ઈચ્છે છે કે હિન્દુસ્તાનનુ શિક્ષણ તંત્ર તેમનુ ગુલામ બની જાય.આજે દેશમાં માંડ 15 થી 20 લોકોો માટે કામ થઈ રહ્યુ છે.અમે ઈચ્છીએ છે કે દરેક રાજ્ય પોતાના બજેટનો મહત્તમ ખર્ચ શિક્ષણ પાછળ કરે.ભાજપની સરકારના આવ્યા બાદ શિક્ષણ બજેટ ઓછુ થયુ છે.આ સરકાર ખાનગીકરણથી શિક્ષણની પ્રગતિ કવા માંગે છે.જેમાં કોંગ્રેસને વિશ્વાસ નથી.