પરિવારનાં 7 સભ્યોની હત્યારી શબનમની ફાંસી ટળી, જાણો તેનું કારણ
Updated: Feb 23rd, 2021
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2021 મંગળવાર
ઉત્તર પ્રદેશનાં અમરોહાનાં બાવનખેડી હત્યાકાંડનાં દોષિત શબનમની ફાંસી ફરી એક વખત ટળી ગઇ છે, અમરોહામાં જનપદ કોર્ટે આરોપી પક્ષ પાસે કાતિલ શબનમની વિગત માંગી હતી, પરંતું તેના વકીલ દ્વારા રાજ્યપાલ પાસે દયા અરજી કરવામાં આવી છે, ફરી એકવાર દયા અરજી દાખલ થવાથી ફાંસીની તારીખ નક્કી થઇ શકી નથી.
શબનમની ફાંસી અંગે મંગળવારનાં જિલ્લા જજની અદાલતમાં સુનાવણી થઇ, પહેલાથી જ એવું માનવામાં આવતું હતું કે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં શબનમની રિપોર્ટ રજુ કરવામાં આવશે અને જો આ રિપોર્ટમાં કોઇ અરજી વિલંબિત નહીં જણાય તો શબનમની ફાંસીની તારીખ નક્કી કરી શકાય છે.
શબનમનાં વકીલે થોડા દિવસો પહેલા જ દયા અરજી માટે રાજ્યપાલ સમક્ષ વિનંતી કરવા માટે જિલ્લા જેલ રામપુર વહીવટીતંત્રને વિનંતીપત્ર સોપ્યો હતો. આજે સુવાવણીમાં તેનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો, તેના કારણે ફાંસીની તારીખ નક્કી થઇ શકી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે 14/15 એપ્રિલ 2008ની રાત્રે શબનમે પોતાના પ્રેમી સલીમ સાથે મળીને પોતાના જ પરિવારનાં 7 લોકોની કુહાડીનાં ઘા મારીને હત્યા કરી દીધી હતી, આ કેસમાં નિચલી કોર્ટથી માંડીને સુપ્રિમ કોર્ટે બંનેની ફાંસીની સજા યથાવત રાખી હતી.
ડિસેમ્બર 2020માં સુપ્રીમ કોર્ટે તેની પુનર્વિચાર અરજી પણ ફગાવી દીધી હતી, ત્યાર બાદ રાષ્ટ્રપતિએ પણ શબનમની દયા અરજી ફગાવી દીધી, જો કે નૈની જેલમાં બંધ સલીમની દયા અરજી પર નિર્ણય લેવાનો હજું બાકી છે.