ગુજરાતમાં ભાજપાની રેકોર્ડ જીત માટે વિદેશી મીડિયાએ મોદીની ભારોભાર પ્રશંસા કરી છે
Updated: Dec 9th, 2022
- અલ્-જજીરાએ લખ્યું : ૧૯૯૫ પછી ભાજપા પશ્ચિમી ઔદ્યોગિક રાજ્ય ગુજરાતમાં એક પણ ચૂંટણી હારી નથી
નવીદિલ્હી, તા. ૧૯
મધ્યપૂર્વની ન્યૂઝ એજન્સી. અલ્-જજીરાએ લખ્યું છે કે, ભારતમાં પશ્ચિમી ઔદ્યોગિક રાજ્ય ગુજરાતમાં ૧૯૯૫ પછી ભાજપ એક પણ વિધાનસભાની ચૂંટણી હારી નથી. ૨૦૦૨નાં ઘાતક ગુજરાત દંગાઓ પછી મોદીએ પોતાને હિન્દૂ-ચેમ્પિયન તરીકે રજૂ કર્યા છે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ને મળેલા વિજયની વિદેશી મીડિયામાં પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે, તેમજ નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરી છે.
ગુજરાતમાં બીજેપીએ ૧૮૨માંથી ૧૫૬ સીટો જીતી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ૧૯૬૦માં આ રાજ્યની સ્થાપના પછી ગુજરાતમાં ૧૯૯૫ પછી સતત સાતમીવાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ વિજય મેળવ્યો છે. હજી સુધીમાં કોઈ પણ પાર્ટીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી નથી.
ધી સ્ટ્રેટસ ટાઈમ્સ ઓફ સિંગાપુર, જાપાનનાં નિક્કેઈ એશિયા, ઈન્ડીપેન્ડન્ટ (ઇંગ્લેન્ડ) અને એબીસી ન્યૂઝ જેવી વિદેશી મીડિયાએ ભાજપાની જીત પછીના જશ્નની તસ્વીરો પ્રસિદ્ધ કરી છે. આ ઉપરાંત, બ્રિટિશ ન્યૂઝ પોર્ટલ ધ ગાર્ડીયને પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે વડા પ્રધાન મોદીએ પોતાની પાર્ટી બીજેપીને મહત્ત્વપૂર્ણ વિજય અપાવ્યો છે, ગુજરાતમાં ભાજપાની આ બમ્પર જીત ૨૦૨૪માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલાં પક્ષની મજબૂત લોકપ્રિયતાનો સંકેત છે.
જાપાનનાં નિક્કેઈ-એશિયાએ લખ્યું છે કે, ૧૯૯૫ પછી ગુજરાત વિધાનસભાની એક પણ ચૂંટણી ભાજપા હારી નથી. તેનું શ્રેય વડાપ્રધાન મોદીને જાય છે. તે વર્તમાનપત્રે વધુમાં લખ્યું છે કે, (પી.એમ. નરેન્દ્ર) મોદી, રાજ્યમાં અત્યંત લોકપ્રિય છે. ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા તે પૂર્વે તેમણે આશરે ૧૩ વર્ષો સુધી (ગુજરાતના) મુખ્યમંત્રી તરીકે કામ કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓએ કેટલીયે રેલીઓનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ભાજપાનાં અભિયાનનું પણ નેતૃત્વ કર્યું. ગુજરાતના અનેક લોકો તે જાણે છે કે ગુજરાતમાં જન્મેલા નરેન્દ્ર મોદી વૈશ્વિકસ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી તેઓનું સમર્થન કરવું તે ગુજરાતના મતદારોની જવાબદારી છે તેમ પણ તેઓ માને છે.
જેએનયુના પ્રોફેસર અજય ગુડવર્થીએ અલ્-જજીરાને જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપાની સરળ જીત હિન્દૂ મતોનો એક તરફી ઝૂકાવ દર્શાવે છે.
જોકે નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ગુજરાતના લોકોને ધન્યવાદ આપતાં જણાવ્યું હતું કે તેઓએ વિકાસની રાજનીતિને આશિર્વાદ આપ્યા છે.