મુખ્યમંત્રી પારિકર જીવતા હશે ત્યાં સુધી હોદો જાળવી રાખશે : ગોવાના ડે.સ્પીકર
- નાદુરસ્ત તબિયત છતાં રાજયનો વહીવટ સારી રીતે સંભાળી રહ્યા છે
Updated: Feb 19th, 2019
પણજી, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર
ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર પોતાની નાદુરસ્ત તબિયત છતાં જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી મુખ્યમંત્રી ઓફિસ સંભાળી શકશે અને ગોવાની જનતાની સેવા કરતા રહેશે તેમ એક કાર્યક્રમમાં ગોવા વિધાનસભાના ડે.સ્પીકર અને શાસક ભાજપના વિધાયક માઈકલ લોબોએ જણાવ્યું હતું.
ઉત્તર ગોવાના કલનગટ વિધાનસભા ક્ષેત્રના એક ગામમાં પંચાયત તરફથી યોજાયેલા કાર્યક્રમમાં લોબોએ પત્રકારોને જણાવ્યું કે નાદુરસ્ત તબિયત છતાં પારિકર રાજયનો કાર્યભાર સારી રીતે સંભાળી રહ્યા છે અને રાજયમાં જ્યાં સુધી ભાજપની આગેવાની હેઠળની સંયુકત સરકાર અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી કાર્યભાર સંભાળતા રહેશે.
તેઓ એવા વ્યકિત છે જે કાયમ કામ કરતા રહેવામાં માને છે અને સતત કામ કરતા જ રહે છે.હું માનું છું કે તેઓ આ દુનિયામાં જયાં સુધી જીવતા છે ત્યાં સુધી આ પદ છોડશે નહી અને તેઓ ગોવાના લોકોની સેવા કરતા જ રહેશે.
તેઓ પેન્ક્રીયાસની બિમારીથી પીડાય છે એટલે કયારેક તેમની તબિયત સારી હોય તો કયારેક ખરાબ પણ હોય પણ જયાં સુધી તેમનું મગજ બરાબર કામ કરતું રહેશે ત્યાં સુધી કામ કરતા રહેશે અને સરકાર ચલાવતા રહેશે. તમારી તબિયત કાયમ સારી રહેતી નથી કયારેક સારી તો કયારેક નાદુરસ્ત પણ હોઈ શકે છે.
પારિકર છેલ્લા એક વર્ષથી પેન્ક્રીયાસની સારવાર કરાવી રહ્યા છે અને તે માટે તેમને ગોવા, મુંબઈ, દિલ્હી કે ન્યુયોર્કની હોસ્પિટલમાં અવાર નવાર જવું પડે છે.
અત્યારે મને એવું લાગે છે કે તેઓ શકય તમામ પ્રયાસોથી તેમની સેવા આપી રહ્યા છે અને ભગવાન તેમની સાથે છે. જો કે સારૂ કે ખરાબ બધું ભગવાનના હાથમાં હોય છે.મારા પિતા પણ આવી જ બિમારીથી પીડાતા હતા જો કે કોઈ કાયમ માટે જીવી શકતું નથી પણ જો કદાચ તેમને કંઈ થઈ જાય તો જે તે સમયે અમે જોઈ લેશું અને જે જરૂરી હશે તે કરીશું તેમણે જણાવ્યું હતું.