બેંકોને કહો મારી પાસેથી પૈસા વસૂલ કરે, હું ચૂકવી દેવા તૈયાર છું
-ભાગેડુ વિજય માલ્યાએ ટ્વીટ કરી
9000 કરોડનો ગફલો કરીને નાસી ગયા હતા
Updated: Feb 14th, 2019
લંડન / નવી દિલ્હી તા.14 ફેબ્રુઆરી 20190 ગુરૂવાર
ભાગેડુ કોર્પોરેટ એક્ઝિક્યુટીવ વિજય માલ્યાએ એવો દાવો કર્યો હતેા કે મેં લંડનની કોર્ટમાં પૈસા ચૂકવી દેવાની ઑફર મૂકી હતી. વડા પ્રધાન બેંકોને કેમ કહેતા નથી કે મારી પાસેથી પૈસા વસૂલ કરી લે.
9000 કરોડનું કૌભાંડ કરીને વિજય માલ્યા બ્રિટન નાસી ગયા હતા અને ત્યાં જાતજાતના દાવા કરતા હતા. તેમણે લંડનની કોર્ટને એમ પણ કહ્યું હતું કે ભારતની જેલોમાં હવા ઉજાસ બરાબર હોતા નથી અને જેલો ખૂબ ગંદી હોય છે માટે મારે ભારત પાછા ફરવું નથી.
જો કે માલ્યા પોતાના પ્રત્યાર્પણનો કેસ આખરે હારી ગયા હતા અને બ્રિટનની કોર્ટે એમને ડિપોર્ટ કરવાની બ્રિટિશ સરકારને છૂટ આપી હતી. જો કે હજુ માલ્યાને એેક અપીલ કરવાની છૂટ છે ખરી. ભારતે ખાસ તો મુંબઇની આર્થર રોલ જેલમાં માલ્યાને જે કોટડીમાં રાખવાના હતા એની વિડિયો ક્લીપ લંડન મોકલી હતી જેનાથી કોર્ટને સંતોષ થયો હતો.
રાષ્ટ્રપતિએ સંસદનાં બંને ગૃહોને કરેલા સંબોધનના પ્રતિભાવ રૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભાગેડુ કૌભાંડકાર હવે એવો દાવો કરે છે કે હું 9000 કરોડ પાછા આપવા તૈયાર હતો પરંતુ કેન્દ્ર સરકારે મારા 13000 કરોડ કબજે કરી લીધા. વડા પ્રધાનના આ વિધાન અંગે માલ્યા પ્રતિભાવ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે હું પ્રજાના પૈસા પાછા ચૂકવી દેવા તેયાર છું. વડા પ્રધાને બેંકોને સૂચના આપવી જોઇએ કે મારી પાસેથી પૈસા લઇ લે. આમ કરવાથી કમ સે કમ પબ્લિક ફંડની રિકવરી થઇ જશે.
ગઇ કાલ સુધી મોટી મોટી વાતો કરતા વિજય માલ્યા હવે ઢીલા પડ્યા છે અને સુફિયાણી વાતો કરતા થયા છે. અપીલમાં એમનું ડિપોર્ટિંગ કાયમ રહે તો એમને ગુનેગારની જેમ પોલીસ હાથકડી પહેરાવીને પાછા લાવી શકસે. કિંગ ફિશરના આ માલિક ઊંચી જાતના શરાબ અને શબાબ (સ્ત્રીસંગ)ના શૉખીન અને ભયંકર ઊડાઉ રહ્યા હતા.