પાક. સાથે કોઇ પણ પ્રકારની વાતચીતનો સમય હવે પુરો થઇ ગયો : મોદી
- અર્જેન્ટીનાના પ્રમુખ ભારતની મુલાકાતે, બન્ને દેશો વચ્ચે ૧૦ કરાર
- આતંકવાદ સામેની લડાઇમાં અમે ભારતની સાથે, દરેક પ્રકારની મદદ કરીશું : અર્જેન્ટીનાના પ્રમુખ મૌરીકો
Updated: Feb 18th, 2019
નવી દિલ્હી, તા.18 ફેબ્રુઆરી, 2019, સોમવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાની આકરી નિંદા કરી હતી સાથે જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે વાતચીતનો સમય હવે પુરો થઇ ગયો છે. મોદીએ અર્જેન્ટીનાના પ્રમુખ મૌરીકો મેક્રી સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન બન્ને દેશ વચ્ચે સુરક્ષાથી લઇને વિવિધ મુદ્દે ૧૦ કરારો થયા હતા.
વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર તેની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે પુલવામામાં થયેલા આ ઘાતકી હુમલા બાદ હવે સ્પષ્ટ છે કે પાકિસ્તાન સાથેની વાતચીતનો સમય પુરો થઇ ગયો છે.
સાથે મોદીએ આતંકવાદ સામે આકરા પગલા લેવાનો સમય આવી ગયો હોવાનું પણ જણાવ્યુ હતું. હવે વિશ્વના દરેક દેશોએ આતંકવાદના ખાતમા માટે એક થવું પડશે.
રવિવારે ભારત આવેલા અર્જેન્ટીનાના પ્રમુખ મૌરીકોએ જણાવ્યું હતું કે આતંકવાદ સામેની લડાઇમાં અમે ભારતની સાથે છીએ. સાથે મોદીએ પણ કહ્યું હતું કે એનએસજી દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય તે માટે અર્જેન્ટીનાએ ભારતને ઘણો સહકાર આપ્યો છે. બન્ને દેશો વચ્ચે ૧૦ જેટલા કરારો પણ થયા હતા.
કરારો બાદ મોદીએ જણાવ્યું હતું કે અર્જેન્ટીના આતંકવાદની લડાઇમાં ભારતની સાથે છે. જે ૧૦ કરારો થયા છે તેમાં એક આતંકવાદના ખાતમા માટે પણ છે. આગામી દિવસોમાં અર્જેન્ટીનાની સાથે મળીને ભારત આતંકવાદના ખાતમા માટે એક સ્ટ્રેટેજી પણ તૈયાર કરી શકે છે.
એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે બન્ને દેશો અર્જેન્ટીના અને ભારત હવે સાથે મળીને કામ કરશે. હાલ જે આંતરરાષ્ટ્રીય સ્તરે ખતરો વધી રહ્યો છે તેને પહોંચી વળવા માટે પણ દરેક દેશોએ એક થવાની જરુર છે.